ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક કોચિંગ ક્લાસમાં સર્જાયેલી ભીષણ આગમાં ૧૫ વિદ્યાર્થીઓના અકાળે અવસાન થયા છે. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ પૂજ્ય મોરારી બાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે તમામ દિવંગત વિદ્યાર્થીઓના પરિવારોને હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેકને રૂ.૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૨,૨૫,૦૦૦ ની સહાય જાહેર કરી છે, જે રામકથાના શ્રોતાઓ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવાશે.
બીજી તરફ, આફ્રિકાના પશ્ચિમ કેન્યાના પોકોટ વિસ્તારમાં ખાણ દુર્ઘટનામાં ૧૯ લોકો અને કાજીઆડો પ્રાંતમાં મકાન ધરાશાયી થતાં ૪ લોકો મળી કુલ ૨૩ લોકોના મોત નિપજ્યા છે. આ વૈશ્વિક દુર્ઘટનાથી વ્યથિત થઈને પૂજ્ય બાપુએ નાઇરોબી સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થાનિક ચલણમાં પ્રત્યેક પરિવારને રૂ.૧૫,૦૦૦ લેખે કુલ રૂ.૩,૪૫,૦૦૦ ની આર્થિક સહાય પહોંચાડી છે. બાપુએ તમામ દિવંગતોના મોક્ષ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.





