ભાવનગર જિલ્લાના મહુવાના કેશવનગર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ શંભુભાઈ ધુંધળવા પોતાની કિયા સેલટોસ કાર લઈને ગઈકાલે તા.૨૬ના રોજ રાત્રે ગોપનાથ ડ્રીહાઇડ્રેશનથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાદ્રોડ સમ્રાટ હોટેલ પાસે પહોંચતા તેમના પત્નીનો ફોન આવવાથી તેમણે કાર રોડની સાઇડમાં ઇન્ડિકેટર ચાલુ કરીને ઊભી રાખી હતી અને તેઓ કારમાં બેસીને વાત કરી રહ્યા હતા.
તે સમયે ભાવનગથી મહુવા તરફ પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા મીઠું ભરેલા ૧૪ વ્હિલર ટ્રક ચાલકે પોતાની કારની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાર આશરે વીસેક ફૂટ આગળ ઘસડાઈ ગઈ હતી અને કારની ડિકી, કાચ તથા ઇન્ડિકેટર તૂટી જવાથી અંદાજે દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે સદ્ નસીબે કારચાલક અરવિંદભાઈને કોઈ શારીરિક ઇજા થઈ ન હતી.
ઘટનાની જાણ થતાં ૧૧૨ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલક જેન્તિભાઈ વસ્તાભાઈ દાફડાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ભોગ બનનાર કારચાલકની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ ૨૮૧, ૩૨૪(૪) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.





