દક્ષિણ જાપાનના મુખ્ય ટાપુ ક્યુશુના કુમામાતોની ધરતી મંગળવારે બપોરે ૭.૧ની તિવ્રતાના ભૂકંપથી હચમચી ઊઠી હતી. ભૂકંપ બાદ એક પુલ અને ફેક્ટરી તૂટી પડયા હતા જ્યારે કેટલાક કલાકો પછી કાશિમા ટાઉનના એઓન મોલમાં તિવ્ર વિસ્ફોટો થયા હતા. મોલનો બીજો માળ તૂટી પડતાં તેના કાટમાળમાં કેટલાક લોકોનાં મોત થયા હોવાની તથા ૫૦થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
જાપાન હવામાન વિજ્ઞાાન એજન્સીના અહેવાલ મુજબ સ્થાનિક સમય મુજબ ૪.૨૭ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપનુ કેન્દ્ર જમીનથી ૧૦ કિ.મી.ની ઊંડાઈમાં હતું. ભૂકંપ બાદ સુનામની ચેતવણી અપાઈ હતી, પરંતુ લગભગ એક કલાક પછી તેને પાછી લઈ લેવાઈ હતી. ભૂકંપ પછી સરકારે તકેદારીના ભાગરૃપે ક્યુશુ ટાપુના ૧.૫ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં ખસેડયા હતા. ભૂકંપના આંચકાઓ પછી કાશિમા ટાઉનના એઓન મોલનો બીજો માળ તૂટી પડતાં તેના કાટમાળમાં ૫૦થી વધુ લોકો ફસાયા હોવાનું મનાય છે. આ લોકોને બચાવવા માટે આખી રાત અભિયાન ચલાવાયું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવિઝનના અધિકારીએ કહ્યું હતું કે, નિપોન પેપર યાત્સુશિરો પ્લાન્ટમાં બે લોકો કાર્ડિઆક અરેસ્ટની સ્થિતિમાં મળી આવ્યા હતા જ્યારે નવ લોકો હજુ પણ લાપતા છે. આ સિવાય એક પુલ પણ તૂટી પડયો હતો. ભૂકંપના આંચકાઓના કારણે અનેક પૂલો અને ઈમારતોમાં તીરાડો પડી ગઈ હોવાનું જોવા મળે છે. જોકે, પરમાણુ વીજ એકમને કોઈ નુકસાન થયું નથી.જાપાનના કુમામોટો પ્રીફેકચર (પ્રાંત)માં આવેલાં યાત્સુહીરો ઉનો અને માશિકી તથા મિસાનોમાં શિંદો સ્કેલ ઉપર ૬ પોઇન્ટની તીવ્રતાનો ભૂકંપ લાગ્યો હતો. ઉપરાંત નાગાસાકી, કાગોશિકા, ફુફુઓકા, સાગા અને મિયાઝાકીમાં પણ ૫ કે તેથી ઓછી તીવ્રતાના આંચકા લાગ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર માત્ર ૧૦ કી.મી. જેટલું જ ઊંડું હોવાથી ભૂકંપની અસર વધુ તીવ્ર રહી હતી.





