ગુજરાતના સૌરાષ્ટ્રમાં કોડીનાર નજીક નવું સ્પેસ લોન્ચિંગ સ્ટેશન (સ્પેસપોર્ટ) સ્થાપિત કરાશે, જેની જાહેરાત વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી. આ સ્પેસપોર્ટ ગુજરાતને વૈશ્વિક સ્પેસ ટેકનોલોજીનું કેન્દ્ર બનાવશે અને રોજગારી તેમજ આર્થિક વિકાસને વેગ આપશે.
ગુજરાતનો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હવે સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાની જેમ હવે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા કોડીનાર નજીક એક નવું સ્પેસ લોંચિગ સ્ટેશન (સ્પેસપોર્ટ) સ્થાપિત કરવામાં આવશે. સાયન્સ સિટી અમદાવાદ ખાતે આયોજિત ત્રણ દિવસીય સ્પેસ ફેસ્ટિલવલના ઉદ્ધાટન અંગે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેડિગની યાદમાં ભારત દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય મંત્રી મોઢવાડિયાના જણાવ્યા મુજબ, સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રમાં ગુજરાત આજે ભારતમાં સૌથી મોખરાનું રાજ્ય છે તેમજ અમદાવાદમાં IN-SPACeનું હેડક્વાર્ટર આવેલું છે. આથી સૌરાષ્ટ્રના કોડીનાર નજક નવું સ્પેસ લોંચિગ સ્ટેશન સ્થપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. તેની સાથે જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સેટેલાઈટ ઉત્પાદન ક્ષેત્રે રોકાણ કરનાર કંપનીઓને વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓ ના જણાવ્યા પ્રમાણે, કોડીનારનો દરિયાકાંઠો અને ભૌગોલિક સ્થાન રોકેટ અને સેટેલાઈટ માટે સાનુકૂળ છે. કોડીનારમાં સ્પેસપોર્ટ બનવાથી ગુજરાત માત્ર દેશનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્પેસ ટેક્નોલોજીનું એક મુખ્ય સેન્ટર બનીને ઉભરશે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારી અને આર્થિક વિકાસને પણ મોટો વેગ મળશે.
રાષ્ટ્રીય અવકાશ દિવસ પહેલા ગુજરાતની મોટી જાહેરાત
23 ઓગસ્ટે ભારત રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરે છે. 2023માં ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં સફળ ઉતરાણની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય અવકાશ દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતમાં સ્પેસપોર્ટની જાહેરાત રાજ્યની અવકાશ ક્ષેત્રે વધતી મહત્વાકાંક્ષાઓને વધુ વેગ આપનારી બની શકે છે.
ગુજરાતમાં સેટેલાઇટ અને સ્પેસ ટેકનોલોજીને પ્રોત્સાહન
રાજ્યમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સહિત અવકાશ ક્ષેત્રની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ પહેલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં IN-SPACeનું મુખ્ય મથક પણ આવેલું છે. આ ઉપરાંત, અમદાવાદ નજીક ખોરજમાં સ્પેસ ટેકનોલોજી માટે ખાસ ઝોન વિકસાવવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે.
સૌરાષ્ટ્રના કોડીનારની જ કેમ પસંદગી?
કોડીનાર અને ગીર વચ્ચેનો દરિયાકાંઠાનો વિસ્તાર અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સંભવિત સ્થળ તરીકે અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. યોગ્ય ભૌગોલિક પરિસ્થિતિ અને દરિયાઈ વિસ્તારને કારણે અહીંથી રોકેટ લોન્ચિંગ માટેની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જોકે, અંતિમ સ્થળ અને પ્રોજેક્ટની ટેકનિકલ વિગતો હજુ નક્કી થવાની બાકી છે.





