ઓગસ્ટ મહિનામાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં સામાન્ય કરતા ૧૬ ટકા ઓછો વરસાદ પડયો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતાઓ છે, એટલે કે ૯૧ ટકાથી પણ ઓછો વરસાદ પડી શકે છે. ઓછા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અનેક જિલ્લાઓ કે રાજ્યો એવા છે કે જ્યાં પાણીની અછતને પગલે પાકને ભારે નુકસાનની ભીતિ છે.
ભારતમાં ૫૦ ટકા જેટલી ખેતીની જમીન વરસાદના પાણી પર નિર્ભર છે, જુનથી સપ્ટેમ્બર સુધીનો વરસાદ ખેતી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જુલાઇ મહિનામાં થોડો સારો વરસાદ પડયો હતો જોકે ઓગસ્ટ મહિનામાં નિરાશા હાથ લાગી હતી. અલ નીનોને કારણે સપ્ટેમ્બર મહિનો સામાન્ય કરતા ગરમ રહેવાની શક્યતાઓ છે. જેને પગલે હાલ જે પાક ઉભો છે તેને પાણી વગર નુકસાન થવાની શક્યતાઓ છે. જે વિસ્તારમાં સિંચાઇની સુવિધા નથી ત્યાં ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ જુનથી ઓગસ્ટ સુધી ૧૩ ટકા વરસાદની અછત નોંધાઇ છે. ઓગસ્ટ મહિનામાં ૧૬.૩ ટકા અછત નોંધાઇ છે. ૩૧મી ઓગસ્ટ સુધીમાં દેશના લગભગ ૩૫૦ જિલ્લાઓમાં વરસાદની અછત છે, એટલે કે દેશના ૪૭ ટકા વિસ્તારમાં દુષ્કાળની ભીતિ છે જેને પગલે મોંઘવારી પણ વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અલ નીનોની અસર ફેબુ્રઆરી કે માર્ચ મહિનામાં જ ઓછી થવાની શક્યતાઓ છે. ઓગસ્ટ મહિનામાં પણ અલ નીનોની માઠી અસર રહી જેને પગલે ૧૯૦૧ પછી સૌથી વધુ ૨૮.૧ ડિગ્રી તાપમાન રહ્યું.





