ઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુ નજીક જાવા સમુદ્રમાં એક જહાજ ડૂબવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 243 લોકો સવાર હતા. આ જહાજનો સંપર્ક તૂટયા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે બચાવ અભિયાન તેજ કરાતા છ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે 107 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 130 મુસાફરો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.આ જહાજ પૂર્વ જાવાના સુરાબાયાથી દક્ષિણ કાલીમંતન પ્રાંતના બંજારમાસિન જઈ રહી હતી.
બંજારમાસિન સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના વડા આઈ પુટુ સુદયનાએ જણાવ્યું હતું કે જહાજના કેપ્ટને દરિયામાં 10 ફૂટ ઊંચા મોજાની જાણ કરતા પહેલા ડિસ્ટ્રેસ કોલ મોકલ્યો હતો.જેમાં કહેવામાં આવ્યું હતું કે જહાજ એક તરફ ઝૂકી રહ્યું છે. અધિકારીઓને પાછળથી ખબર પડી કે જહાજ પલટી ગયું છે અને પછી ડૂબી ગયું છે. બંજારમાસિનમાં બચાવ એજન્સીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે 2 વાગ્યે વર્કો ટ્રાન્સપોર્ટ 8 સાથે સંપર્ક તૂટી ગયાના બે કલાક પછી તેમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જહાજ ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાથી બોર્નિયો ટાપુ પર આવેલા શહેર બંજારમાસિન માટે રવાના થયું હતું.





