ટ્વિટરના સીઈઓ એલન મસ્કે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. એલન મસ્કે ટ્વીટ કર્યું કે, તેઓ ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપશે. એલન મસ્કે કહ્યું કે, તેમને ટ્વિટરના સીઈઓ પદ માટે કોઈ મળશે ત્યારે તેઓ પદ પરથી રાજીનામું આપી દેશે. એલન મસ્કે ટ્વીટ કર્યું કે, હું સીઈઓ પદેથી રાજીનામું આપી દઈશ જ્યારે મને કોઈ વ્યક્તિ આ પદ સંભાળવા માટે જણાશે. તે પછી હું ફક્ત સોફ્ટવેર અને સર્વર ટીમો ચલાવીશ.
એલન મસ્કે પોલના પરિણામો બાદ સીઈઓ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. એલન મસ્કે ટ્વિટર પર પોલમાં પૂછ્યું હતું કે, શું તેમણે ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપવું જોઈએ ? મસ્કે વચન આપ્યું હતું કે, પોલનું પરિણામ જે પણ આવશે, તે તેનું પાલન કરશે. મસ્કના મતદાન પર 57.5 ટકા લોકોએ જવાબમાં હા પાડી. એટલે કે તેમણે રાજીનામું આપવું જોઈએ. જ્યારે 42.5% લોકોએ કહ્યું કે, તેમણે રાજીનામું ન આપવું જોઈએ.
નોંધનીય છે કે, અગાઉ પણ એવી અટકળો હતી કે મસ્ક ટૂંક સમયમાં ટ્વિટર ચીફની ખુરશીને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. તેણે પોતે કહ્યું હતું કે, તે લાંબા સમય સુધી ટ્વિટરના સીઈઓ તરીકે કામ કરવા માંગતા નથી. તેમણે કહ્યું હતું કે, તે આ પદ માટે અન્ય કોઈને શોધી લેશે. અગાઉ 17 નવેમ્બરે મસ્કે કહ્યું હતું કે, ટ્વિટર ખરીદ્યા બાદ તેમણે કંપનીમાં મોટા ફેરફારો કરવા માટે પોતાનો ઘણો સમય ફાળવવો પડશે. આમાં સામેલ થવાને કારણે મસ્ક પોતાની જૂની કંપની ટેસ્લાને ઓછો સમય આપી શકે છે. ટ્વિટરને વધુ સમય આપવાને કારણે ટેસ્લાના રોકાણકારોની ચિંતા વધી ગઈ છે.