કેન્દ્ર સરકાર આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે એકશન પ્લાન પર અસરકારક કાર્યવાહી કરી રહી છં. . આતંકવાદ પર સરકારે સતત બીજા દિવસે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, TRF આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા, આતંકવાદીઓની ભરતી કરવા, આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી કરવા માટે ઑનલાઇન માધ્યમ દ્વારા યુવાનોની ભરતી કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ જૂથ પ્રતિબંધિત સંગઠન લશ્કરના પ્રોક્સી તરીકે વર્ષ 2019માં અસ્તિત્વમાં આવ્યું હતું, જે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું. TRF જમ્મુ-કાશ્મીરના લોકોને ભારત સરકાર વિરુદ્ધ આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે ઉશ્કેરવાનું કામ કરે છે. આ માટે તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા જ આ સંગઠન લોકોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકવાદી બનાવે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે શેખ સજ્જાદ ગુલ TRFના કમાન્ડર છે અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે આ સંગઠનની પ્રવૃત્તિઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો છે અને તેના સભ્યો અને સહયોગીઓ વિરુદ્ધ મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે.