કાયપો છે..ના નારા સાથે આવતીકાલે શનિવારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે સાથે ભાવનગરના આકાશમાં પણ રંગબેરંગી પતંગોનું આકાશી યુદ્ધ ખેલાશે. જે માટે પતંગ રસીકોએ પતંગ દોરાની ખરીદી તેમજ માંજો સહિતની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે ઉતરાયણ પૂર્વેના દિવસે આજે શહેરની બજારમાં પતંગ અને દોરાની ખરીદી માટે પતંગ રસિકોની ભારે ભીડ જોવા મળી હતી.
અબાલ, વૃદ્ધ સહિતના પ્રિય એવા મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે. મકરસંક્રાંતિની ઉજવણી માટેની તૈયારીઓ કરાઇ રહી છે જેમાં આજે સવારથી જ બજારમાં પતંગ દોરા ઉપરાંત ટોપી, ચશ્માં, માસ્ક, તેમજ પંપુડા સહિતની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત રીલ પર માંજો પીવરાવવામા પણ ભારે ગિર્દી જામી હતી. જે દિવસભર અને મોડી રાત્રિ સુધી રહેશે. પતંગ રસીયાઓએ ધાબાની સફાઈ કરાવવા ઉપરાંત કેટલાક ધાબા પર તો માઈક પણ લગાવવામાં આવશે. અને ગીતોની રમઝટ તથા શોરબકોર સાથે લોકો ઉતરાયણની ઉજવણી કરશે.
દાન, પુણ્યનુ મહાત્મ્ય
મકરસંક્રાંતિના દિવસે દાન-પૂણ્યનું પણ ખુબજ મહાત્મ્ય હોય છે. આ દિવસે સવારે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવા સાથે શિવલિંગ પર જળ, દૂધ, બિલ્લીપત્ર, ચોખા સહિત ચડાવી પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગરીબોને અન્ન તથા વસ્ત્ર દાન અને ગાયને ઘાસચારો આપવાથી દોષમાથી મુક્તિ મળતી હોવાનું પણ મહાત્મ્ય છે. આવતીકાલે લોકો મંદિરમાં દર્શન પૂજન સાથે દાન- પૂણ્ય કરવામાં વ્યસ્ત રહેશે.
સાંજે આતશબાજી કરાશે
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી મકરસંક્રાંતિના દિવસે દિવસ ભર પતંગ ચગાવવાની મજા માણ્યા બાદ સાંજ પડતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાબા પરથી જ ફટાકડાની આતશબાજી કરવામાં આવે છે અને દિવાળી જૈવો માહોલ કરાય છે.જે અનુસંધાને પતંગ રસિકો દ્વારા પતંગ દોરાની સાથોસાથ ફટાકડાની પણ ખરીદી કરાઈ રહી છે અને સાંજના સમયે આતશબાજી કરવા પણ ઉત્સુક બન્યા છે.





