પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક 100ને પાર પહોંચી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. પેશાવર પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, 221 ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,
પાકિસ્તાનમાં છેલ્લાં 22 વર્ષમાં 15,997 આતંકી હુમલા થયા છે. આ હુમલાઓમાં 28,918 લોકો માર્યા ગયા છે. એટલે કે રોજના સરેરાશ 4 લોકોનાં મોત થયાં હતાં. આ વર્ષે 30 જાન્યુઆરી સુધી પાકિસ્તાનમાં 31 આતંકી હુમલા થયા છે જેમાં 4 નાગરિકો સહિત 140 જવાનો શહીદ થયા હતા. 2022માં 365 હુમલા થયા જેમાં 229 લોકો માર્યા ગયા, 379 સૈનિકોએ જીવ ગુમાવ્યો.
રાજધાની ઈસ્લામાબાદમાં સંસદના ઉપલા ગૃહમાં આતંકવાદી હુમલાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. હુમલાને રોકવામાં નિષ્ફળતા સામે સાંસદોએ રોષ વ્યક્ત કર્યો હતો. કહ્યું કે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી જોઈએ. જમાત- એ- ઈસ્લામીના સાંસદ મુશ્તાક અહેમદે કહ્યું કે આ સત્ર બંધ રૂમમાં યોજવું જોઈએ. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવી શકાય. તેમણે કહ્યું કે આપણો દેશ ગરીબ હોવા છતાં સશસ્ત્ર દળો, ન્યાયતંત્ર અને પોલીસને અબજો ડોલર આપી રહ્યો છે, તેથી સુરક્ષા સંસ્થાઓને એ પૂછવાનો અધિકાર છે કે આવી ઘટનાઓ કેમ બની રહી છે અને ગુપ્તચર એજન્સીઓ હુમલાને રોકવામાં કેમ નિષ્ફળ રહી છે.