રાજકોટના રૈયા રોડ પર આવેલા હનુમાનમઢી મંદિરમાં બિરાજતા દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં રાજકોટના હજારો ધર્મ પ્રેમી ભાઈઓ-બહેનો ભાગ લેશે.રામકથાના આયોજનના ભાગરૂપે ગઈકાલે શહેરના રાજમાર્ગો પર પોથીયાત્રા નીકળી હતી જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. રાજકોટના અતિ પ્રાચીન હનુમાનજી મહારાજના મંદિરોમાનું એક મંદિર રૈયા રોડ પર આવેલું હનુમાન મઢી મંદિર છે.132 વર્ષથી પણ વધુ સમયથી હનુમાન દાદા ત્યાં બિરાજમાન છે તથા દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે રૈયા રોડ પર આવેલ અલ્કાપુરીમાં અલ્કેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય અને શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24 ફેબ્રુઆરી થી 4 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ બપોરે 2:30 થી 6:30 સુધી આ કથા યોજનારી છે,જેમાં શિવ વિવાહ,રામ જન્મ,રામ વિવાહ,રામ વનવાસ કેવટ પ્રસંગ,શબરી પ્રસંગ,હનુમંત ચરિત્ર સહિત પાવન પ્રસંગોની ઉજવણી થવા જઈ રહી છે. ગઈકાલે કથાના પ્રથમ દિવસે રામ-સીતા તથા હનુમાનજીની આરતી કરી તેમને યાદ કરવામાં આવ્યા.હજારોની સંખ્યામાં રાજકોટની ધર્મ પ્રેમી જનતા આ રામકથા શ્રવણ કરવા આવનારી છે.હમીરપરવાળા હરિકાન્તદાસજી મહારાજ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ આ કથાનું રસપાન સૌને કરાવશે. રામ કથા નિમિત્તે કાર,બુલેટ,બાઈક વિવિધ પ્લોટ,ખુલી જીપ તથા ડીજે ના તાલે આ જાજરમાન પોથી યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતે યાત્રામાં હાજર રહ્યા હતા તથા અબ તકના માધ્યમથી પણ આ પોથીયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં ડિજિટલી લાખો લોકોએ આ પોથી યાત્રાને માણી હતી. મંદિરના પૂજારી કશ્યપભાઈ તથા સમગ્ર આયોજકો વતી સર્વેને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા યથાશક્તિ ધાનપુર કરવાની અપીલ કરવામાં આવી છે