ગુજરાત ATSએ ભાવનગર અને રાજકોટથી ઝડપી પાડ્યા હતા. : ગુજરાતમાં સૌપ્રથમ વખત ISISના આતંકવાદીઓને સજા
યાત્રાધામ ચોટીલા મંદિરને ઉડાવી દેવાનું ષડયંત્ર રચનાર બે આતંકવાદી સગા ભાઈઓને સ્પેશિયલ NIA કોર્ટે દસ- દસ વર્ષની સજા ફટકારી છે. ગુજરાતમાં ISISના આતંકવાદીઓને સજા આપી હોય તેવો આ પહેલો કેસ છે. મહત્વનું છે કે, રાજકોટના બન્ને ભાઈઓ સિરિયા ખાતે ISISના સંપર્કમાં હતા.
સ્પેશિયલ NIA કોર્ટે સિરિયા ખાતે ISISના સંપર્કમાં રહેલા રાજકોટના બે સગાભાઈઓ વસીફ આરીફ રામોડીયા અને નઇમ આરીફ રામોડીયાઓ સામે આકરી કાર્યવાહી કરી છે. બંને ISISના આતંકવાદીઓ હોવાથી તેમની સામે 8 હજાર જેટલા પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેમાં બંનેની ભૂમિકા સામે આવી હતી. જે બાદ ન્યાયાધીશ સુભદ્રાબેન બક્ષીએ બંને આતંકી ભાઈઓને 10-10 વર્ષની સજા ફટકારી છે.
રાજકોટના વસીમ આરીફ રામોડીયા અને નઇમ આરીફ રામોડીયાને ગુજરાત ATSએ ભાવનગર અને રાજકોટથી ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી, ડમી સીમકાર્ડ, ગન પાઉડર સહિત અનેક પુરાવા મળી આવ્યા હતા. આ સાથે તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે બંનેએ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ઉડાવી દેવા ‘લોન વુલ્ફ એટેક’ નામના ખતરનાક પ્લાન બનાવ્યો હતો. તો બંને આતંકવાદીઓ તાલીમ લેવા માટે સિરીયા જવાના હતા. જોકે, ષડયંત્ર સફળ થાય એ પહેલાં જ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા.