રાજ્યની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વારંવાર જોવા મળતી હોય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં સુનવાણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાંટકણી કાઢી હતી.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પૂછ્યા હતા કે, રેગિંગની ઘટનાઓમાં સરકારની ભૂમિકા શું હોય છે? આવી ઘટનામાં ફરિયાદો કોને કરવાની? આવી ઘટનાઓને અંકુશિત કોણ કરે છે? કોર્ટે એવી ટકોર કરી હતી કે, રેગિંગના કારણે રાજ્યના અનેક યુવાન-યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરતું સરકારે તેના પર કોઇ નિયમો ઘડ્યા કેમ નથી? આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે રેગિંગની ફરિયાદો પર લીધેલા પગલાંની સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.
જેના પર સરકારે જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે બી.જે મેડિકલના રેસિડેન્ટ ડૉક્ટર સામે પગલાં લેવામાં આવ્યા છે. જે બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, દરેક જવાબ માત્ર કાગળ પર છે, વિસ્તૃત જવાબ રજૂ કરો. આ મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 6 એપ્રિલે હાથ ધરાશે.
સિનિયરોના ત્રાસથી 2 યુવકોએ કર્યો હતો આપઘાત
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા સિનિયરોના રેગિંગના ત્રાસથી મેડિકલમાં અભ્યાસ કરતા બે યુવાનોએ આપઘાત કરી લીધો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર પાસે સિનિયર ડોક્ટરો ઘરના કામ કરાવતા હતા તેમજ પરીક્ષા હોવા છતાં નાઇટ શિફ્ટ આપવા દબાણ કરતા હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. આવો જ બનાવ સુરતમાં પણ બન્યો હતો.