સુરતના રાંદેર વિસ્તારમાંથી આજે સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા લાંબા સમથી અણબનાવને કારણે પત્નીએ બે સંતાનોને ગળેફાંસો આપીને હત્યા કર્યા બાદ પોતે પણ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવને પગલે ઊંચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુજરાત હાઉસિંગ કોલોનીમાં રહેતા રીટાદેવી નામની મહિલાએ તેની 11 વર્ષની પુત્રી અંશીતા ઉર્ફે પરી અને પાંચ વર્ષના પૂત્ર રોબર્ટને ઘરે ફાંસો આપી હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાંદેરમાંથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી વિગત મુજબ નેપાળના કાઠમંડુના રહેવાસી મુન્ના પ્રસાદ યાદવ તેની પત્ની રીટાદેવી અને બે બાળકો સાથે એક વર્ષ પહેલા જ ગુજરાત હાઉસિંગ કોલોની ખાતે રહેવા આવ્યા હતા. પતિ મુન્ના યાદવ અને રીટાદેવી વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાની નાની બાબતે તકરાર ચાલતી હતી અને મતભેદ થયા કરતા હતા. જોકે, રીટાદેવીએ થોડા દિવસો પહેલાં જ તેના પતિ મુન્ના યાદવ સામે 498ની ફરિયાદ પણ આપવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ બંને વચ્ચે ચાલી રહેલા ઘરકંકાસ વચ્ચે આજે રીટાદેવીએ પાંચ વર્ષના પુત્ર રોબર્ટ અને 11 વર્ષની પુત્રી આંશિકાને ગળેફાંસો આપી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ પોલીસને થતાં રાંદેર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલા અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખેસડ્યા હતા. બનાવને પગલે પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ બિહાર ખાતે રાજેશકુમાર પ્રસાદ સાથે રીટાદેવીના લગ્ન થયા હતા. રાજેશકુમાર પ્રસાદ કરિયાણાની દુકાન ચલાવતો હતો. ત્યારે મુન્ના પ્રસાદ યાદવ તેને ત્યાં કારીગર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન રીટાદેવી સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયો હતો. રીટાએ તેના પતિ રાજેશ સાથે ડિવોર્સ લઈ મુન્ના સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ રીટાદેવી તેના બીજા પતિ મુન્ના સાથે નેપાળના કાઠમંડુ ખાતે રહેતી હતી. ત્યાંથી એકાદ વર્ષ પહેલાં જ સુરત કામકાજ માટે આવ્યા હતા અને સુરતના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા હતા.



