ગુજરાતમાં ભારે વરસાદના કારણે રસ્તા અને રેલમાર્ગનો વાહનવ્યવહાર ખોરવાયો છે , મોટા પ્રમાણમાં નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે, અનેક ડેમોના દરવાજા ખોલી નદીઓમાં પાણી છોડાતાં કેટલાક ગામોને પૂરનો સામનો કરવો પડ્યો છે.
જોકે સાંજે છના આંકડાઓ અનુસાર નર્મદા ડેમની સપાટીમાં થોડોક ઘટાડો થયો હોવાનું જાણવા મળતા હાંશકારો અનુભવાયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૬ કલાકે પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ૩ કલાકમાં ૮ સે.મી.નો ઘટાડો જોવા મળ્યો હતો. પાણીની આવકમાં પણ ત્રણ કલાકમાં ૧,૦૮,૪૬૭ ક્યુસેકનો ઘટાડો નોંધાયો હતો તેમ જ પાણીની જાવકમાં પણ નોંધપાત્ર ઘટાડો ૩ કલાકમાં ૧,૦૮,૨૨૦ ક્યુસેકનો ઘટાડો થયો હતો.
દરમિયાન સાંજે છ કલાકે પૂરા થયેલા ૧૨ કલાકમાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ પંચમહાલના ગોધરા અને શેહેરા તાલુકામાં પડ્યો છે. મહીસાગરના વીરપુર તાલુકામાં ૮ ઇંચ, લુણાવાડામાં ૭ ઇંચ, બાલાસિનોરમાં ૫ ઇંચ વરસાદ થયો હતો. રાજ્યના કુલ ૧૭૩ તાલુકામાં રવિવારે સાંજ સુધીમાં થયેલી વર્ષામાં ૧૬ તાલુકામાં ૪ ઇંચથી વધુ , ૪૦ તાલુકામાં ૨થી ૪ ઇંચ અને ૩૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ પાણી પડ્યું હતું. અમદાવાદમાં ઘણા મુખ્ય માર્ગો પર કેડ સમાણા પાણી ભરાતાં મનપાની વરસાદની તૈયારીઓની પોલ ખૂલી ગઇ હતી અને પ્રીમોન્સૂન તૈયારી માટે કરેલ કરોડો રૂપિયાનો ખર્ચો ગટર થઇ ગયો હોવાની લાગણી નાગરિકોએ અનુભવી હતી. ગોધરામાં રેલ્વે ટ્રેક પર પાણી ભરાતાં અવંતિકા એક્સપ્રેસ રદ કરાઇ હતી. શિનોરમાં એક મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.
ભારે વરસાદથી દાહોદ જિલ્લો પાણી-પાણી થતાં અને બે દિવસનો રેડ ઍલર્ટ જાહેર કરાતાં શાળા-કૉલેજોમાં રજા જાહેર કરાઈ હતી. દાહોદ જિલ્લામાં દેવગઢબારિયાના ઉંચવાણમાં પાનમ નદીમાં પણ ચાર લોકો ફસાયા હતા. હેલિકૉપ્ટરની મદદથી ચાર લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. અંદાજે ૩-૪ હજાર લોકોનું સમગ્ર રાજ્યમાં સેફ સ્થળોએ સ્થળાંતર કરાયું હતું તો ૩૦૦-૪૦૦ લોકોનું બોટ તેમ જ એરલિફ્ટિંગથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું.
ગુજરાતને શનિ-રવિમાં વરસાદે ધમરોળતાં રાજ્યના પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, અરવેલ્લી, ખેડા, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ ઇત્યાદિ જિલ્લાઓમાં મેઘમહેર રહી હતી.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જવાના તમામ માર્ગો કરાયા બંધ
નર્મદા નદીનું પાણી રસ્તા પર ફરી વળતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વડોદરા જવાના તમામ માર્ગો બંધ કરાયા છે. તમામ રસ્તા અને હાઈવે પર પાણી ફરી વળતા રાહદારીઓ અને પ્રવાસીઓ અટવાયા છે. રસ્તાબંધ થવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વડોદરા જવાના તમામ માર્ગ બંધ કરાયા હતા. નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ખોલીને લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ તેથી નર્મદા ડેમથી ૧૦ કિલોમીટર દૂરના ગરુડેશ્ર્વર મેઈન હાઈવે પર પાણી ભરાયા હતા અને નર્મદા પોલીસે સતર્ક બની હાઈવે પર આવતા વાહનોને રોકવાની સૂચના સાથે ગરુડેશ્ર્વરથી રાજપીપળા જતો રસ્તો બંધ કર્યો હતો.





