દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના હાથે ત્રણ આતંકવાદી પાસેથી મહત્ત્વના ખુલાસા થયા છે. મુખ્ય આરોપી શાહનવાઝ સાથીઓ સાથે અમદાવા-સુરત સહિત 18 જગ્યાઓ પર રેકી કરી ચુક્યો હતો. સરહદપારથી આદેશ હતો કે મોટા પાયે બ્લાસ્ટ કરીને નુકસાન પહોંચાડવાનું છે. આઇએસના આ પૂણે મૉડ્યૂલમાં યુવાનોની ભરતી કરવાથી લઇને વિસ્ફોટક તૈયાર કરવા અને તેને બ્લાસ્ટ કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી.
આતંકીઓના નિશાના પર કેટલાક મુખ્ય મંદિર અને અન્ય સ્થાન હતા. સૂત્રો અનુસાર તેમાં સૌથી મહત્ત્વનું સ્થાન મુંબઇના મરીન ડ્રાઇવ સ્થિત ચાબડ હાઉસ અને મંદિરમાં અયોધ્યાનું રામ મંદિર નિશાના પર હતું. કોલાબા સ્થિત ચાબડ હાઉસ પર 26/11માં પણ આતંકી હુમલો થયો હતો. શાહનવાઝે આઇઇડી લગાવવા અને ટાર્ગેટ કિલિંગ માટે અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને મુંબઇમાં ભીડભાડ ધરાવતા સ્થળો મજાર/દરગાહ, વીઆઇપી નેતાઓના રસ્તા જેવા વિસ્તારની બ્લાસ્ટ કરવાની શક્યતાની રેકી કરી હતી. બોમ્બ બનાવ્યા પછી તેને દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરાખંડના હલદ્વાનીમાં કેટલીક જગ્યાએ તેનું ટેસ્ટ પણ કર્યું હતું.
ત્રણેય આતંકી ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ ભાગેડુ ફરતુલ્લાહ ગૌરી અને તેના જમાઇ શાહિદ ફૈસલના સંપર્કમાં હતા જે પાકિસ્તાનની જાસુસી એજન્સી આઇએસઆઇની નજરમાં રહે છે. તપાસ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે આ આતંકી મૉડ્યૂલે માત્ર કેમિકલ દ્વારા બોમ્બ બનાવ્યા હતા અને પૂણેના જંગલોમાં બ્લાસ્ટ કરીને ટ્રાયલ પણ કર્યું હતું, તેમના નિશાના પર દેશના કેટલીક ભીડભાડ અને વીઆઇપી વિસ્તાર હતા. શાહનવાઝના ઘરેથી મોટી સંખ્યામાં લિક્વિડ કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ આઇઇડી બનાવવામાં કરવાના હતા. સેલના અધિકારીઓ અનુસાર તે આસાનીથી બોમ્બ બનાવી લેતા હતા.
આતંકી મૉડ્યૂલમાં ભરતી કરવામાં આવેલા કેટલાક શંકાસ્પદની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમની ભૂમિકા શકના દાયરામાં છે. પોલીસને આ સૂચના મળી છે કે તેમણે પણ બ્લાસ્ટ માટે કેટલાક ટાસ્ક આપવામાં આવ્યા હતા. જોકે, શું ટાસ્ક આપવામાં આવ્યા હતા તેની પૂછપરછ ચાલી રહી છે. સ્પેશ્યલ સીપીએ ખુલાસો કર્યો કે આ આરોપીઓએ દેશના વિવિધ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ટ્રેનિંગ કેમ્પ બનાવીને રાખ્યા હતા. આ કેમ્પમાં ભરતી કરવામાં આવેલા લોકોને ટ્રેનિંગ આપતા હતા. બીજી તરફ આઇઇડી બ્લાસ્ટનું ટ્રાયલ પણ કરતા હતા, તે પછી સરહદપાર બેઠેલા પોતાના આકાઓને તેનો રિપોર્ટ પણ આપતા હતા.
શાહનવાઝ ચેટ એપ્લીકેશનથી પાકિસ્તાનમાં આકાઓ સાથે વાત કરતો હતો
શાહનવાઝ પાકિસ્તાનમાં પોતાના આકાઓને ઇન્ટરનેટ કૉલિંગ અથવા ચેટ એપ્લીકેશન દ્વારા સંપર્ક કરતો હતો પરંતુ પોતાના નજીકના લોકોને તે સીધા મોબાઇલ પર જ વાત કરતો હતો, તેના ફોન કોલની ડિટેલ રેકોર્ડ (સીડીઆર)ની તપાસમાં કેટલાક આવા જ શંકાસ્પદ નંબર મળ્યા છે.





