વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ બન્યા છે. એવા સમયે જ્યારે ત્યાંની સેના હમાસ સાથે યુદ્ધ લડી રહી છે, ત્યારે ભારતે તેને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. અનેક પ્રસંગોએ પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ઈઝરાયેલને પણ ભારત પર પૂરો ભરોસો છે.
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું કે ઈઝરાયેલ હમાસ સાથે લાંબા યુદ્ધ માટે તૈયાર છે. તેમણે ભારત સાથેની મિત્રતાની પણ પ્રશંસા કરી છે. તેમને પૂછવામાં આવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન એકતા દર્શાવવા ઈઝરાયેલ પહોંચ્યા છે. તમને લાગે છે કે આ સંઘર્ષ ક્યાં જઈ રહ્યો છે? આના જવાબમાં તેમણે કહ્યું કે અમે જો બિડેનની મુલાકાતની પ્રશંસા કરીએ છીએ. તેઓ ઇઝરાયેલના સૌથી મોટા મિત્ર નેતા છે. અમેરિકા ઈઝરાયેલનું મોટું સમર્થક છે. જ્યાં સુધી યુદ્ધની વાત છે, અમે માનીએ છીએ કે આ લડાઈ લાંબો સમય ચાલશે.
ઇઝરાયેલ ભારત પાસેથી શું અપેક્ષા રાખે છે? આ પ્રશ્નના જવાબમાં ઈઝરાયેલના રાજદૂતે કહ્યું કે, અમે એ વાતથી અભિભૂત થઈ ગયા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા એ જ બપોરે આવી જ્યારે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો. તેમણે થોડા દિવસો પછી ફરીથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરીને એકતા વ્યક્ત કરી. માત્ર ભારતીય વડાપ્રધાન જ નહીં, અમને અહીં તમામ સ્તરેથી સમર્થન મળ્યું છે. અધિકારીઓ, મંત્રીઓ, નાગરિકો અને ભારતના લોકો પણ સોશિયલ મીડિયા પર ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, “અમે 200 થી વધુ ઈઝરાયલી બંધકોની મુક્તિ માટે ભારત તરફથી કોઈપણ સહાયનું સ્વાગત કરીશું. તેઓ હજુ પણ હમાસના આતંકવાદીઓના નિયંત્રણમાં છે. બંધકોમાં ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ છે.
ઈઝરાયેલના રાજદૂતે કહ્યું, “હમાસના ટોચના કમાન્ડર ઈસ્તાંબુલ અને કતાર જેવા સ્થળોએ વૈભવી જીવન જીવી રહ્યા છે. વિશ્વમાં ભારતનું વિશેષ સ્થાન છે. ઘણા દેશો તે નિર્દોષ નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે હમાસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતના આ દેશો સાથે સારા સંબંધો છે. જો ભારત તેમના પર દબાણ લાવશે તો અમે તેનું સ્વાગત કરીશું.