પાટણમાં ખોડલધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે એટેકના બનાવોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને તેમણે કહ્યું કે, ગુજરાતમાં જે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઈએ. છેલ્લા એક વર્ષ દરમિયાન જે મહિલા, પુરુષો અને યુવાનોના મોત નિપજ્યા છે તેનો સ્ટડી કરાવવો જોઈએ અને જાણવું જોઈએ કે શા માટે આ ઘટનાઓ બની રહી છે? આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, મેં મનસુખભાઈ સાથે વાત કરી હતી. એમને રિસર્ચ કરાવ્યું છે એમાં કોરોનાનું કોઈ કારણ ન હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકના કારણે મોતના બનાવમાં વધારો થયો છે. તેમાં પણ નવરાત્રિ તહેવારો દરમિયાન તો રોકેટગતિએ કેસ વધ્યા છે. ત્રણ જ દિવસમાં ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે 12 જેટલા લોકોના મોત નિપજ્યા છે. પાટણના સંડેરમાં ખોડલધામ સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમમાં યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં જ આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, નવરાત્રિના સમયની અંદર કેટલા યુવાનો ગરબા ગાતા ગાતા મૃત્યુ પામ્યા એનું એનાલિસિસ થવું જોઈએ. શા માટે આ ઘટનાઓ બની રહી છે. એવું શું કરી રહ્યા છીએ કે આવી ઘટનાઓ બની રહી છે. ઋષિકેશ પટેલને કહ્યું હતું કે, એક વર્ષમાં યુવાનો મૃત્યુ પામ્યા તેનો સ્ટડી કરાવવો જોઈએ.