નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (NIA)એ શનિવારે સવારે દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા બાદ એજન્સીએ પુણેમાંથી 13 લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા છે.
એજન્સીએ મહારાષ્ટ્રમાં 43 અને કર્ણાટકમાં એક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એજન્સીએ થાણે ગ્રામીણમાં સૌથી વધુ 31, પુણેમાં બે, થાણે શહેરમાં 9, ભાયંદરમાં એક અને કર્ણાટકમાં એક જગ્યાએ દરોડા પાડ્યા હતા.
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAએ ISIS સાથે જોડાયેલા એક નેટવર્કને શોધી કાઢ્યું છે, જે ભારતમાં ISISની વિચારધારા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જેમાં વિદેશમાં બેઠેલા ISIS હેન્ડલર્સની મદદ લેવામાં આવી રહી હતી. તેમનો ઉદ્દેશ્ય ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો હતો. આ લોકો ભારતમાં ISIS વિચારધારાથી પ્રભાવિત યુવાનોને પોતાના સંગઠનમાં સામેલ કરતા હતા. તેમને IED બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.