સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી (જી.ભાવનગર) ખાતે તા.૫ જાન્યુઆરીના રોજ કથાકાર પૂ. મોરારીબાપુએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય બાપુનું હોસ્પિટલના સ્થાનિક ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત, સન્માન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પૂજ્ય બાપુએ હોસ્પિટલ અંગેની વિસ્તૃત માહિતી મેળવી રાજીપો વ્યક્ત કર્યો હતો. પુજ્યપાદ સદગુરુદેવ નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા, અનુકંપા તેમજ આશિર્વાદથી ચાલતા તદ્દન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યની ખુબજ પ્રશંસા વ્યક્ત કરી હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ, ઉદારદિલ દાતાઓ, શુભેચ્છકો, ડોક્ટરો અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ પરિવારને આશિર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા. પુ. બાપુએ હોસ્પિટલને સહાયરૂપ થવાના શુભાશયથી રૂપિયા ૧૦ લાખનું અનુદાન જાહેર કર્યું હતું.