જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની સાથે નેશનલ કોન્ફરન્સે તેનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું. પક્ષના નાયબ વડા ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીને લઈને વચનો આપ્યા. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારીની સ્થિતિ આપણે જાણીએ છીએ. ભરતી પ્રક્રિયામાં છેતરપિંડી થઈ છે અને યુવાનોને નોકરીઓ મળતી નથી. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કેટલાક લોકો અમારા કરતાં વધારે વચનો આપશે, પરંતુ તેનો કોઈ ફાયદો નથી કેમકે તે સત્તામાં આવવાના નથી.
કોંગ્રેસ સાથેના જોડાણ અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસ અમને બીજા કોઈ સાથે વાત કરવા માટે ફરજ પાડી શકતી નથી. અમે તે લોકો સાથે વાત કરીશું જેની સાથે વાત કરવું અમને પસંદ છે. કોંગ્રેસ કોની સાથે વાત કરવા માંગે છે તે તેના પર નિર્ભર છે. અમારી અત્યાર સુધી કોંગ્રેસ સાથે વાત થઈ નથી. કોંગ્રેસે અત્યાર સુધી પીડીપી અંગે અમારી સાથે વાત કરી નથી અને અમે હાઇકમાન્ડ સુધી વાત કરી છે.