ભારતીય હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ અરબસાગરની લો પ્રેશર સિસ્ટમને કારણે ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યાં આગામી ત્રણ દિવસમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઇને ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના ભાગોમાં ટકરાય એવી શક્યતાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સિસ્ટમ પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં તેની હળવી અસર વર્તાઈ શકે છે.
આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધા બાદ પણ વરસાદી કહેર યથાવત્ છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દિવાળીને હવે 10 દિવસ જ આડા રહ્યા છે ત્યારે અનેક જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધારી છે. આજે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં સિંધુભવન રોડ પર આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના સ્થળ પર પાણી ભરાયાં હતાં. પવનને કારણે મંડપ અને ડેકોરેશનને પણ નુકસાન પહોંચ્યું હતું તો ગઢડાનો રમઘાટા ડેમ આ સિઝનમાં ત્રીજીવાર ઓવરફ્લો થયો હતો.
પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર પાસે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જે 22 ઓક્ટોબર, 2024ની સવારે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય એવી સંપૂર્ણ શક્યતાઓ છે. ત્યારબાદ તે વધુ ને વધુ સક્રિય થઈને પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધતા 24 તારીખ સુધીમાં સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપે સક્રિય થઈ શકે છે એટલે કે આ ડિપ્રેશન 24 ઓક્ટોબરના રોજ વાવાઝોડામાં પરિવર્તિત થઈને ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધશે. આ વાવાઝોડાને કતર દેશ તરફથી ‘દાના’ નામ આપવામાં આવ્યું છે, જેનો અરેબિક ભાષામાં અર્થ ઉદારતા થાય છે. આ વાવાઝોડું 25 ઓક્ટોબર, 2024ના રોજ ઓરિસ્સામાં પ્રવેશ કરીને તારાજી સર્જી શકે છે તથા ઓરિસ્સાની આસપાસના રાજ્યમાં પણ તેની અસર વર્તાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત દેશના પશ્ચિમ છેડે આવેલું છે તેથી, રાજ્યમાં દાના વાવાઝોડાની અસરો ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય એવી શક્યતાઓ છે.