શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં ભેળસેળ કરવાના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નેતૃત્વ હેઠળની એક ખાસ તપાસ ટીમ (SIT) એ ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ વિપિન જૈન, પોમિલ જૈન, અપૂર્વ ચાવડા અને રાજુ રાજશેખરન તરીકે થઈ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, CBIએ ગયા વર્ષે નવેમ્બરમાં તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીના ઉપયોગના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની SIT ની રચના કરી હતી. ટીમમાં કેન્દ્રીય એજન્સીના બે અધિકારીઓ, આંધ્રપ્રદેશ પોલીસના બે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના એક અધિકારીનો સમાવેશ થતો હતો. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને વાયએસઆરસીપી રાજ્યસભા સાંસદ વીવી સુબ્બા રેડ્ડી સહિત અન્ય લોકો દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કર્યા પછી, સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીના ઉપયોગના આરોપની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે અને તેનું નિરીક્ષણ સીબીઆઈ ડિરેક્ટર દ્વારા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT તપાસમાં ઘીના પુરવઠાના દરેક તબક્કે ગંભીર ઉલ્લંઘનો બહાર આવ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે વૈષ્ણવી ડેરીના અધિકારીઓએ મંદિરમાં ઘી સપ્લાય કરવા માટે એઆર ડેરીના નામે ટેન્ડર મેળવ્યા હતા અને ટેન્ડર પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે નકલી રેકોર્ડ બનાવવામાં પણ સામેલ હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ સપ્ટેમ્બરમાં દાવો કર્યો હતો કે રાજ્યમાં અગાઉની વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની સરકાર દરમિયાન તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીનો ઉપયોગ થતો હતો. ગયા વર્ષે NDA વિધાનસભા પક્ષની બેઠક દરમિયાન, નાયડુએ આરોપ લગાવ્યો હતો કે પાછલી YSRCP સરકારે શ્રી વેંકટેશ્વર મંદિરને પણ છોડ્યું ન હતું અને લાડુ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળા પદાર્થો અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યો હતો. આ આરોપો પછી, સમગ્ર દેશમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ.