ભાવનગર,તા.24
ભાવનગર પોરબંદર ટ્રેનને ઉથલાવવા પ્રયાસ થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. શુક્રવારે અમરેલી જિલ્લાના ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સો દ્વારા અવરોધો ઊભા કરી ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જો કે, લોકો પાયલોટની સતર્કતાને કારણે સેંકડો મુસાફરોનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ, ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન જ્યારે ચિતલથી ખીજડિયા તરફ જઈ રહી હતી, ત્યારે ટ્રેક પર અચાનક પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) પડેલા જોવા મળ્યા હતા. ટ્રેક પર આ વસ્તુઓ દેખાતા લોકો પાયલોટે ત્વરિત ઈમરજન્સી બ્રેક મારી ટ્રેનને થંભાવી દીધી હતી.




