ગુજરાત વિરોધી અર્બન નક્સલ ગેંગ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીધો પ્રહાર કર્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નર્મદા વિરોધી મેઘા પાટકરને કોણે સંસદની ચૂંટણીમાં ટિકિટ આપી હતી તે બધા જાણે છે. ગુજરાત આવા લોકોને નહીં ફાવવા દે…
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘આજના દિવસે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે 5- 5 દાયકા સુધી કચ્છના લોકોને નર્મદાના પાણીથી વંચિત રાખ્યા હતા, કચ્છને તરસ્યું રાખ્યું હતું. સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવાવાળા અર્બન નક્સલવાદી કોણ હતા. જેમણે સરાજાહેર ગુજરાતનો વિરોધ કર્યો. ખાસ કરીને કચ્છનો વિરોધ કર્યો. એ અર્બલ નક્સલવાદીઓ કચ્છ અને ગુજરાતને વિકાસથી વંચિત રાખવાના તમામ પેતરા કર્યા હતા. એ લોકોમાંનું એક નામ છે મેઘા પાટકર…
તેમણે ઉમેર્યું હતું કે, આપણે જાણીએ છીએ કે આ લોકો કઈ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ફેલાવવાની આવા લોકોની પેરવી હતી. પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજાએ તેમજ કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. તેમના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના પણ નથી’.