વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલને લઈને ઐતિહાસિક
ડીલ થઈ છે. આ સમજૂતી હેઠળ યુએઈ હવે ભારતના અંડરગ્રાઉન્ડ ‘સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ’માં 3
કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ ઐતિહાસિક કરારની પુષ્ટિ કરતા
તેને ભારતની ઉર્જા સુરક્ષાની દિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ગણાવ્યું છે.
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા તેલ વિદેશથી આયાત કરે છે. ભવિષ્યમાં યુદ્ધ કે અન્ય કોઈ
વૈશ્વિક કટોકટીના કારણે સપ્લાય અટકી ન જાય તે માટે ભારતે જમીનની નીચે વિશાળ પેટ્રોલિયમ રિઝર્વ
બનાવ્યા છે. વિદેશ સચિવના જણાવ્યા અનુસાર, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની આ અંડરગ્રાઉન્ડ
સ્ટોરેજમાં પોતાનું તેલ રાખશે. આ ડીલ માત્ર તેલ ખરીદવાનો નથી, પરંતુ ભારતની ધરતી પર યુએઈના
તેલનો એક મોટો સ્ટોક હંમેશા હાજર રાખવાનો છે. આ જથ્થો એટલો મોટો છે કે, કોઈપણ કટોકટીના
સમયે ભારતને મહિનાઓ સુધી મદદ કરશે અને જરૂર પડ્યે ભારત પોતાના પાડોશી દેશોને પણ મદદ
કરી શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચેના
ગાઢ સંબંધોના કારણે આ મહત્ત્વપૂર્ણ ડીલ થઈ છે. બંને દેશો વચ્ચે ગાઢ સંબંધોના કારણે માત્ર ક્રૂડ
ઓઈલ જ નહીં, પરંતુ લોંગ-ટર્મ એલપીજી સપ્લાય અને સ્ટ્રેટેજિક ગેસ રિઝર્વ અંગે પણ સહમતી સધાઈ
છે. આનાથી ભારતના રસોડાથી લઈને ફેક્ટરીઓ સુધી ઈંધણનો પુરવઠો સુરક્ષિત બનશે. આ સિવાય
યુએઈ હવે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી રહ્યું છે.
હાલમાં મધ્ય-પૂર્વમાં હોર્મુઝ જળમાર્ગ પર સતત સંકટના વાદળો ઘેરાયેલા રહે છે. જો ભવિષ્યમાં અરબ
સાગરમાં જહાજોની અવરજવર અટકી જાય, તો પણ ભારતની ધરતી પર જ તેલનો મોટો બેકઅપ સ્ટોર
થયેલો હશે. આ ઉપરાંત, યુએઈ પણ હોર્મુઝના માર્ગને બાયપાસ કરવા માટે પાઈપલાઈન નાખવાનું
કામ ઝડપી ગતીએ કરી રહ્યું છે.






