અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે તેમ છે. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે.
અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાથી જ જહાજો પર લોડ થઈ ચૂક્યા છે અને સમુદ્રમાં અધવચ્ચે ઉભા છે. આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. અમેરિકાના આ પગલાં પાછળની વ્યૂહનીતિ એ છે કે, ચીન આ વૈશ્વિક કટોકટીનો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ઓઇલનો સ્ટોક જમા ન કરી લે અને આ ઓઇલ એવા દેશો સુધી પહોંચે જેમને ઊર્જાની તાત્કાલિક જરૂર છે. નોંધનીય છે કે હાલના યુદ્ધ બાદ આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા જહાજોને રસ્તો સાફ કરવા માટેની મહોલત આપી છે.
ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સપ્લાય ચેન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઓઇલની સપ્લાય માટેના સૌથી મહત્ત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ પરથી જહાજોની અવરજવર બંધ હોવાના કારણે ઓઇલ અને એલપીજી જેવા ઇંધણનો પુરવઠો બરાબર પ્રભાવિત થયો છે. આના કારણે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ઇંધણની તંગી અને મોંઘવારી આસમાન આંબી રહી છે. આવા કપરા સમયમાં અમેરિકા તરફથી મળેલી 30 દિવસની મહોલત ભારતીય રિફાઇનરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેઓ કોઈપણ અમેરિકન પ્રતિબંધના ડર વગર સમુદ્રમાં ફસાયેલા રશિયન જહાજોમાંથી ઓઇલની આયાત કરી શકશે. આ તમામ સ્થિતિ વચ્ચે ભારતે સોમવારે પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે જણાવ્યું છે કે અમેરિકા તરફથી પ્રતિબંધોમાં છૂટ મળે કે ન મળે, તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ ખરીદવાનું ચાલુ જ રાખશે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રશિયા પર અમેરિકન છૂટના સંબંધમાં તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે ભારત છૂટ પહેલા પણ, છૂટ દરમિયાન પણ અને હવે પછી પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. તેમણે ઉમેર્યું કે ભારત દ્વારા ક્રૂડ ઓઇલ ખરીદવાનો નિર્ણય મુખ્યત્વે વ્યાવસાયિક દ્રષ્ટિકોણ અને પુરવઠાની ઉપલબ્ધતા પર આધારિત હોય છે. હાલમાં દેશમાં ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી અને વિવિધ કરારો હેઠળ પૂરતો સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
આનાથી દેશમાં ઓઇલની સપ્લાય ચેન સુધરશે અને વૈશ્વિક ઊર્જા ખર્ચમાં થઈ રહેલા વધારા સામે સ્થાનિક રિફાઇનરીઓને મોટી મદદ મળશે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ ભારત, પહેલાથી જ સસ્તા ભાવનો લાભ લેવા રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યો છે અને માર્ચ 2026માં ભારતે રશિયા પાસેથી રેકોર્ડ 22.5 લાખ બેરલ પ્રતિ દિન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું.





