અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડમાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી ચાલતા ધંધાકીય પ્રશ્નના નિરાકરણ માટે આજે ધારાસભ્ય અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટના ધારાસભ્ય અને અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ ટીલાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અલંગના ઉદ્યોગો સાથે જોડાયેલા શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રિરોલિંગ મિલ એસોસિએશન, ફર્નેસ એસોસિએશન, પ્રોફાઈલ એસોસિએશન સહિતના તમામ સંલગ્ન સંગઠનોને આ સંયુક્ત મીટિંગમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તા અને રિરોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ ધાનાણી સહિત અન્ય એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. મીટિંગ દરમિયાન વિષ્ણુકુમાર ગુપ્તાએ સમગ્ર પ્રશ્નની રજૂઆત કરી તેના ફાયદા અને ગેરફાયદાઓ વિગતવાર સમજાવ્યા હતા. તેની સામે હરેશભાઈ ધાનાણીએ પણ આ વિવાદને કારણે ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ અને અડચણો વિશે હોદ્દેદારો વતી વાત મૂકી હતી.

તમામ પક્ષોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ, જીતુભાઈ વાઘાણી અને રમેશભાઈ ટીલાળા દ્વારા હકારાત્મક વલણ અપનાવીને આ ગૂંચવાયેલા પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવી આપવામાં આવ્યું છે. ઉદ્યોગ જગતના આ મોટા પ્રશ્નમાં બંને નેતાઓએ પોતાનો કિંમતી સમય ફાળવીને સમાધાન કરાવી આપતાં, હાજર રહેલા તમામ એસોસિએશનો અને હોદ્દેદારોએ જીતુભાઈ વાઘાણી તથા રમેશભાઈ ટીલાળાનો આભાર વ્યક્ત કર્યો હતો.




