ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરોગામી નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ચિત્તા રિઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ અંતર્ગત આગામી ચોમાસા દરમિયાન ચિત્તાઓની પ્રથમ બેચને કચ્છના બન્ની વિસ્તારમાં લાવવાની પ્રબળ સંભાવનાઓ છે. આ ચિત્તાઓ માટે પૂરતો શિકાર અને અનુકૂળ નવું નિવાસસ્થાન તૈયાર કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ભાવનગરના વેળાવદર અને આસપાસના વિસ્તારોમાંથી આશરે ૫૦૦ જેટલા કાળિયાર (બ્લેકબક) ને કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં સ્થળાંતરિત કરવામાં આવશે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક પછી કચ્છનું આ વિશાળ બન્ની મેદાન ચિત્તાઓના વસવાટ માટે ભારતનું બીજું સૌથી મોટું અને આદર્શ સ્થળ સાબિત થવા જઈ રહ્યું છે, જે સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે.
આ મેગા પ્રોજેક્ટ વન વિભાગ માટે અત્યંત પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે. કાળિયાર પોતાની અસાધારણ ઝડપ, ચપળતા અને શરમાળ સ્વભાવ માટે જાણીતા છે, જેના કારણે તેમને બેભાન કર્યા વગર જીવતા પકડવા ખૂબ મુશ્કેલ છે. રાજકોટ વન વિભાગની વિશેષ ટીમો છેલ્લા ૪૫ દિવસથી વેળાવદર અને આસપાસના બિન-સંરક્ષિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત-દિવસ ઓપરેશન ચલાવી રહી છે. કાળિયારોને લલચાવવા માટે લાંબા સમયથી ચોક્કસ સ્થળોએ ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે. આ વન્યજીવોને કોઈ પણ ઈજા વગર સુરક્ષિત રીતે પકડવા માટે ખાસ આફ્રિકન ‘બોમા એન્ક્લોઝર’ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
દાવો છે કે આ સ્થળાંતર માત્ર ચિત્તા પ્રોજેક્ટની સફળતા માટે જ નહીં, પરંતુ ખુલ્લા અને બિન-સંરક્ષિત વિસ્તારોમાં રખડતા કાળિયારોના પોતાના અસ્તિત્વ માટે પણ વરદાન સાબિત થશે. હાલમાં આ કાળિયારો માનવ વસવાટ, માર્ગ અકસ્માતો અને રખડતા શ્વાનો જેવા ગંભીર જોખમોનો સામનો કરી રહ્યા છે. કચ્છના સુરક્ષિત વાતાવરણમાં સ્થળાંતર થવાથી તેમને એક નવું અને ભયમુક્ત જીવન મળશે.
કુનો નેશનલ પાર્કનો અનુભવ અને સફળતા બાદ હવે કચ્છમાં પ્રોજેક્ટ
દેશમાં ચિત્તાઓને પુનઃજીવિત કરવા માટે સર્વપ્રથમ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. કુનોમાં આફ્રિકન દેશોમાંથી લાવવામાં આવેલા ચિત્તાઓને વસાવવામાં વન વિભાગને મહત્વની સફળતા મળી છે. ત્યાં ચિત્તાઓએ ભારતીય વાતાવરણને અનુકૂળ થઈને સંવર્ધન પણ શરૂ કર્યું છે અને અનેક બચ્ચાઓનો જન્મ થયો છે. કુનોના આ સફળ પરિણામો અને અનુભવોમાંથી શીખીને જ હવે ગુજરાતના વન વિભાગ દ્વારા કચ્છના બન્ની મેદાનને ચિત્તા માટે સજ્જ કરવામાં આવી રહ્યું છે.
કાળિયારોના સ્થળાંતર માટે ‘વંતારા’ ની આધુનિક ટેકનોલોજીનો સથવારો
કાળિયારોને પકડવાથી લઈને સેંકડો કિલોમીટર દૂર કચ્છ સુધી લઈ જવાના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તેમનો તણાવ (સ્ટ્રેસ) ઘટાડવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારસંભાળ રાખવા માટે વન વિભાગે જામનગરના વિશ્વપ્રસિદ્ધ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વંતારા’ ની એક્સપર્ટ ટીમ અને વૈજ્ઞાનિકોની ટેકનિકલ સહાય મેળવી છે. વંતારાના આધુનિક સંસાધનો આ પ્રોજેક્ટને સો ટકા સુરક્ષિત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.





