ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં પોતાના પુત્ર અને ભેંસને બચાવવા માટે તળાવમાં પડેલા પિતાનું ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું આ બનાવથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, તળાજા તાલુકાના વેજોદરી ગામમાં રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા ભગવાનભાઈ ઉર્ફે ફુલાભાઈ બાલાભાઈ ધાપાના પુત્ર તુલશી ભેંસ ચરાવવા ગયો હતો. આ દરમિયાન એક ભેંસ તળાવમાં ફસાઈ જતા તુલશી તેને કાઢવા તળાવમાં ઉતર્યો હતો અને તે પણ ફસાવા લાગ્યો હતો. પુત્રને ફસાયેલો જોઈને પિતા ભગવાનભાઈએ પણ તળાવમાં છલાંગ લગાવી હતી. આ ઘટનામાં પુત્ર અને ભેંસ સહીસલામત બહાર નીકળી ગયા હતા, પરંતુ પિતા ભગવાનભાઈ ઉંડા પાણીમાં ગરકાવ થઈ લાપતા બન્યા હતા.
ઘટનાની જાણ થતાં જ દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. કે.સી. રેવર તેમના સ્ટાફ સાથે, તળાજા ફાયર બ્રિગેડ, ઇમર્જન્સી ૧૧૨ પોલીસ અને NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તંત્ર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. છેવટે તળાવનો પાળો તોડીને ભારે જહેમત બાદ ભગવાનભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે તળાજાની હોસ્પિટલમાં ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર ગામમાં ભારે શોક છવાયો છે.




