ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે.આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતા વલસાડ અને નવસારી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.વલસાડના કપરાડામાં ૨૪ કલાકમાં ૧૫.૫ ઇંચ વરસાદ પડયો હતો.
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના વિતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ શરૂ રહેતા સવાર સુધીમાં આ આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ઝીંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150 થી વધુ માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
વાપી શહેરમાં પડેલાં દેમાર વરસાદને કારણે જગનપાર્કના અનેક રો-હાઉસમાં પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત જીઆઈડીસીની સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, હરિયા હોસ્પિટલ રોડ, કસ્ટમ રોડ અને સ્વામિનારાયણ ગુરુકુલ રોડ જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના બંને મહત્વના રેલવે ગરનાળામાં પાણી ભરાતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી અને ગટર સફાઈના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ગટર યોજનાઓ નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. બુધવારે સવારે 7 વાગ્યે ડેમમાં 1,02,166 ક્યુસેક પાણીની આવક નોંધાતાં સપાટી 74.35 મીટરે પહોંચી હતી. સ્થિતિને પહોંચી વળવા ડેમના 7 દરવાજા 3.10 મીટર અને 1 દરવાજો 1.40 મીટર ખોલીને દમણગંગા નદીમાં 99,808 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે દમણગંગા નદી બંને કાંઠે વહી રહી છે.






