વિદેશ જવા માટે પાસપોર્ટ અગત્યનો દસ્તાવેજ છે. હાલ પાસપોર્ટ માટે અરજી કર્યાના ઘણા દિવસ સુધી લોકોને પાસપોર્ટ મળતો નથી. લોકોની સમસ્યાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારોની એપોઇન્ટમેન્ટનો ઝડપી નિકાલ આવે અને તેમને ઝડપથી પાસપોર્ટ મળી રહે તે માટે હવે અમદાવાદની ગુલબાઈ ટેકરા ઓફિસથી પણ અરજી સ્વીકારવામાં આવશે.
અમદાવાદમાં દરરોજ પાસપોર્ટ માટે અંદાજે સાડા ત્રણ હજારથી વધુ અરજીઓ આવે છે. વર્તમાન સમયમાં પાસપોર્ટ માટે એક મહિનાનો વેઈટિંગ પીરિયડ છે. આ વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે હવેથી શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી ઓફિસેથી પણ પાસપોર્ટ માટેની અરજી સ્વીકારવામાં આવશે. જેના લોકોને ઘણી રાહત મળશે.
લોકોની સમસ્યાને લઈ વિદેશ મંત્રાલય દ્વારા થોડા દિવસ અગાઉ મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ, અરજદારોને પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે જિલ્લા પોસ્ટ ઓફિસમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો હવે દર શનિવારે ખુલ્લા રહેશે. આગામી આદેશ ના થાય ત્યાં સુધી દર શનિવારે જિલ્લા પોસ્ટ ઓફિસોમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લા રહેશે.





