સુરતમાં આર્થિંક તંગીથી કંટાળી જઈ રત્નકલાકારે પરિવાર સાથે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેની પત્નિ, પુત્ર તેમજ પુત્રી સાથે ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે આવેલ દાતાર હોટલ નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ચારેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન પત્નિ, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મૂળ ભાવનગરનાં સિહોરનાં વતની અને નોકરી ધંધાર્થે સુરતનાં સરથાણ વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાટરીમાં રહેતા વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાનાં કારખાનામાં કામ કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે બુધવારે મોડી સાંજ વિનુભાઈ તેમની પત્નિ શારદાબેન, તેમનો પુત્ર ક્રિશ અને પુત્રી સેનિતાએ સામુહિક ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની જાણ થતા તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોડી રાત્રે શારદાબેન, સેનિતા તેમજ પુત્ર ક્રિશે પણ દમ તોડ્યો હતો. જ્યારે બપોર બાદ વિનુંભાઈનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવની અંગેની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.
રત્નકલાકારે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલે છે કે, મારી પાસે આપઘાત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું સારો પતિ, પુત્ર કે પતિ ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ રત્નકલાકારે આપઘાત કર્યો હતો. ત્યારે વીડિયોને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. રત્નકલાકારની પત્નિ તેમજ પુત્રી લેશપટ્ટીનું કામ કરતા હતા. જ્યારે વિનુભાઈ રત્નકલાકાર હતા. વિનુભાઈ હીરાનાં કારખાનામાં કામ કરતા હોઈ હાલ હીરામાં મંદી ચાલી રહી છે. ત્યારે આર્થિક સંકડામણનાં કારણે વિનુભાઈએ ઝેરી દવા ગટગટાવી હોવાની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. ત્યારે આ બનાવની જાણ પોલીસને થતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
મોટો દિકરો બહાર ગયો હતો અને એક દીકરી માસીનાં ઘરે ગઈ હતી જેથી તેઓેનો બચાવ થયો
આ બાબતે ACP પી.કે.પટેલે જણાવ્યું હતું કે, કેનાલ રોડ પર એક જ પરિવારનાં ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા બાદ તેનાં પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારો એક દીકરો અને દીકરી છે. જેનું ધ્યાન રાખજે. વિનુભાઈને ચાર સંતાનો છે. જેમાંથી બે બાળકોનાં મોત નિપજ્યા છે. જ્યારે મોટો દિકરો મિત્રો સાથે બહાર ગયો હતો અને એક દીકરી માસીનાં ઘરે ગઈ હતી. જેથી તેઓેનો બચાવ થયો હતો.




