પાકિસ્તાનના પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્ર આસિમ જમીલે આત્મહત્યા કરી લીધી છે. મૌલાનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “મારો પુત્ર અસીમ જમીલ આજે તુલંબામાં મૃત્યુ પામ્યો. આ અચાનક અવસાનથી વાતાવરણ શોકમય બની ગયું હતું. તે તુલંબામાં તેના ફાર્મહાઉસમાં હતો. તેને છાતીમાં ગોળી વાગી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ તેણે આત્મહત્યા કરી લીધી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ કેસની તપાસ કરી રહી છે અને મૃત્યુના કારણ અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. પાકિસ્તાન ટ્રિબ્યુને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે પ્રખ્યાત ઇસ્લામિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્ર આસીમ જમીલનું તેના ફાર્મહાઉસમાં છાતીમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. તુલંબા હોસ્પિટલના ડૉક્ટર આસિફ ઈમામે મૃત્યુની પુષ્ટિ કરી છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મૌલાનાનો પુત્ર આસીમ ફાર્મહાઉસમાં તેના જીમમાં કસરત કરી રહ્યો હતો, જ્યારે એક ગાર્ડ તેની સુરક્ષા માટે સતર્ક ઊભો હતો.આસિમે ગાર્ડ પાસેથી પિસ્તોલ લઈને પોતાની છાતીમાં ગોળી મારી દીધી હતી.
આરપીઓ સોહેલે જણાવ્યું કે આસીમ માનસિક બીમારીથી પીડિત હતો. તેઓ ઘણા સમયથી માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. આરપીઓ ચૌધરીએ જણાવ્યું કે તેણે 30 બોરની પિસ્તોલથી પોતાને ગોળી મારી દીધી. ઘટના વિશે માહિતી આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યારે આસિમે બંદૂક તેની છાતી તરફ ફેરવી તો ગાર્ડે તેને આમ કરતા રોક્યો પરંતુ તેણે વાત ન માની અને પોતાનો જીવ લઈ લીધો.