તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેએ પોતાના વિરુદ્ધ અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા 2022માં નોંધાયેલી FIR રદ્દ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે આ અરજી પર 15 એપ્રિલે સુનાવણી હાથ ધરી હતી. સાકેત ગોખલે પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે ક્રાઉડફંડિંગ અને રોકડ ટ્રાન્સફર દ્વારા એકત્ર કરાયેલા અંદાજે રૂ.1.07 કરોડનો દુરુપયોગ કર્યો હતો. ગોખલેને આ કેસમાં એપ્રિલ 2023માં સુપ્રીમ કોર્ટે અગાઉ જામીન આપ્યા હતા.
સુનાવણી દરમિયાન જસ્ટિસ હસમુખ સુથારે કહ્યું કે ભારતમાં ક્રાઉડફંડિંગનો ખ્યાલ ખૂબ જ નવો છે અને પ્રશ્ન કર્યો કે શું ભારતમાં તેના માટે કોઈ નિયમન કે કાનૂની માન્યતા છે?જસ્ટિસ સુથારે કહ્યું, “શું ભારતમાં ક્રાઉડફંડિંગ માટે કોઈ ચોક્કસ નિયમ છે? ઘણા દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.”
જસ્ટિસ સુથારે કહ્યું,”સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-SEBIએ સ્ટાર્ટ-અપ ફર્મ્સમાં રોકાણ અને ક્રાઉડફંડિંગ માટે અમુક નિયમો જાહેર કર્યા છે. પરંતુ સેબીના નિયમો, મને લાગે છે કે, માત્ર બિન-સરકારી સંસ્થાઓ-NGO માટે છે, વ્યક્તિઓ માટે નથી… ઘણા દેશોએ ક્રાઉડફંડિંગને માન્યતા આપી નથી અને તેના પર કોઈ સ્પષ્ટતા નથી નહીંતર તે અરાજકતા પેદા કરી શકે છે.”
વકીલ સોમનાથ વત્સ સાકેત ગોખલે વતી હાઈકોર્ટમાં હાજર થયા અને કહ્યું કે તેમના અસીલ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં કોઈ છેતરપિંડી થઈ નથી. વત્સે કોર્ટને માહિતી આપી હતી કે ગોખલેએ ત્રણ ઓનલાઈન ઝુંબેશ શરૂ કરી હતી અને તેને ચાલુ રાખવા માટે દાન માંગ્યું હતું. વકીલે કહ્યું કે આ તમામ ઝુંબેશ ફોજદારી કેસ નોંધાયાના પાંચ મહિના પહેલા પુરી થઈ ગઈ હતી.સાકેત ગોખલેના વકીલે દલીલ કરી, “જો કોઈ એવું કહેતું હોય કે હું મારા હેતુ માટે પૈસા એકઠા કરી રહ્યો છું અને જો લોકો દાન કરી રહ્યા છે, તો કોઈએ છેતરપિંડીથી પૈસા લીધા છે તેવો કોઈ પ્રશ્ન નથી.”તેણે કહ્યું કે ફરિયાદીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે તેણે અમુક રકમ ‘દાન’ કરી છે. વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલા તમામ નાણાં સ્વૈચ્છિક દાન દ્વારા ભેગા થયા હતા.
જવાબમાં, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મિતેષ અમીને કહ્યું હતું કે ગોખલેએ ક્રાઉડફંડિંગ દ્વારા અંદાજે રૂ.76 લાખ એકત્ર કર્યા હતા, પરંતુ માહિતી અધિકાર કાયદા-(RTI એક્ટ હેઠળ ક્વેરી ફાઇલ કર્યા પછી આ રકમનો માત્ર એક ભાગ જાહેર કરવામાં આવ્યો હતો.