છેલ્લા ત્રણ દિવસની જેમ શુક્રવારે પણ રાજ્યમાં મંત્રણાનો દોર જારી રહ્યો હતો. CM ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં શિવસૈનિકો સાથે વાત કરી તો આદિત્ય ઠાકરેએ જિલ્લા સ્તરના પાર્ટીના પદાધિકારીઓને સંબોધિત કર્યા. જે બાદ શરદ પવાર સહિત NCPના ટોચના નેતાઓએ આગળની રણનીતિ અંગે બેઠક યોજી હતી. અને સાંજે વિધાનસભા સચિવાલયમાં શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની અપીલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.આજે શિવસેનાએ પોતાના તમામ રાષ્ટ્રીય કાર્યકર્તાઓની બેઠક બોલાવી છે. આદિત્ય ઠાકરે યુવા નેતાઓની સભાને પણ સંબોધન કરશે. ભાજપના નેતા અને પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાથે રાજ્યની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરશે.
શિવસેનાએ ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને 16 બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. વિધાનસભા સચિવાલયમાં એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોની સાથે બેઠક મળી હતી. અરવિંદ સાવંત, અનિલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે, બળવાખોરોનું સભ્યપદ રદ કરવા અંગેના કાનૂની પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે તમામ બળવાખોરોને નોટિસ મોકલવામાં આવશે. જો બળવાખોરોનું સભ્યપદ રદ કરવામાં આવશે તો તેઓ ફ્લોર ટેસ્ટમાં મતદાન કરી શકશે નહીં.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે ઉદ્ધવ છાવણીના અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે માન્યતા આપી છે.આ ઉપરાંત ચીફ વ્હીપ તરીકે સુરેશ પ્રભુની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી સ્પીકરનો આ નિર્ણય શિંદે કેમ્પ માટે આંચકા સમાન છે. ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે તરફથી ડેપ્યુટી CMને પત્ર પણ લખવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ સંખ્યાની દ્રષ્ટિએ મજબૂત છે અને તે પોતે ધારાસભ્ય દળના નેતા છે.
શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલને હટાવવાની માગણી કરી હતી. શિંદે ગ્રુપે કહ્યું છે કે તેમણે ઉદ્ધવની ટીમના એક સભ્યને વિધાનસભાના નેતા તરીકે કોઇ સલાહ વગર ચૂંટી કાઢ્યા છે. કહ્યું કે આ માટે હવે ડેપ્યુટી સ્પીકર સામે પ્રસ્તાવ લાવવામાં આવશે. CM ઉદ્ધવ ઠાકરેએ સેના ભવનમાં બેઠક દરમિયાન શિવસૈનિકોને કહ્યું કે, મેં વર્ષા છોડ્યું છે, લડાઈ નહીં. મને સત્તાનો લોભ નથી. મારી પાસે હજી લડવાની ઇચ્છા શક્તિ છે. જે રીતે બળવો થયો તે યોગ્ય નથી. હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ ઠાકરે અને શિવસેનાના નામનો ઉપયોગ કર્યા વિના ટકી શકે નહીં . આદિત્ય ઠાકરેએ જિલ્લા પ્રમુખો સાથે મહત્વની બેઠક યોજી હતી. અને ઉદ્ધવ ઠાકરેએ વર્ચ્યુઅલી આ બેઠકમાં હાજરી આપી હતી. આદિત્ય ઠાકરેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, સત્તા આવતી-જતી રહે છે. અમે સત્તાના લોભી નથી. પૈસા માટે પરિવારના સભ્ય દ્વારા અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જો વધુ બોલી લાગી તો તેઓ અમને છોડીને ચાલ્યા ગયા. અગાઉ પણ લોકોએ શિવસેના સાથે છેતરપિંડી કરી છે.
CM ઉદ્ધવ ઠાકરેએ સેના ભવન ખાતે આજે બપોરે 1 વાગ્યે સેનાના તમામ રાષ્ટ્રીય કાર્યકર્તાઓની બેઠક બોલાવી છે. તેઓ વીસી દ્વારા બેઠકની અધ્યક્ષતા કરશે. સાથે જ આદિત્ય ઠાકરે આજે સાંજે 6:30 વાગ્યે મરીન લાઇન્સના બિરલા માતોશ્રી ઓડિટોરિયમમાં એક જનસભાને સંબોધિત કરશે. આ પછી આદિત્ય રવિવારે સવારે 11 વાગ્યે સાંતાક્રુઝમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. તમામ યુવા શિવસૈનિકોને આ મેળાવડામાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં 29 જૂને થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ 29 જૂને મહારાષ્ટ્ર રાજકીય સંકટ મામલે સુનાવણી કરશે. મધ્યપ્રદેશ મહિલા કોંગ્રેસના નેતા જયા ઠાકુરે અરજી દાખલ કરીને પક્ષપલટો કરનારા તમામ ધારાસભ્યો માટે પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર સુપ્રીમ કોર્ટ પાસે રોક લગાવવાની માંગ કરી છે.