ખ્યાતિકાંડ મામલે ત્રણ તબીબ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાયાના આઠ દિવસ બાદ પણ ડો. પ્રશાંત વઝીરાણી સિવાયના અન્ય ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. અમદાવાદ પોલીસ દ્વારા આ મામલાની તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ હવે એકશનમાં જોવા મળી રહી છે. ખ્યાતિકાંડ બાદ જે ચાર આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે તેઓની સામે લુક આઉટ સર્કયુલર(LOC)નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. તેની જાણ દેશના તમામ એરપોર્ટ પર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંગળવારે આરોપીઓના ઘર અને ઓફિસ પર દરોડો પાડી જરુરી પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા હતા.
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 જેટલા લોકોને એન્જિયોગ્રાફીની અને સાત લોકોને એન્જિયોપ્લાસ્ટીની જરુર ન હોવા છતા હોસ્પિટલ દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે કરી નાખી હતી. ત્યારબાદ બે લોકોના મોત નિપજતા હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણી, ડો. કાર્તિક પટેલ,ડાયરેક્ટર,ડો. સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂર, CEO સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકીના ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ રિમાન્ડ પર છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર હોય તેઓને ઝડપવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે માસૂમ લોકોના મોત થયા બાદ હવે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવી છે અને અમદાવાદ ક્રાઈમ રાજ્ય ગણતરીના કલાકોમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવાની શરૂઆત કરી છે. જેમાં ચાર વોન્ટેડ આરોપીઓના ઘરે પોલીસે રેડ કરી હતી જ્યારે બે ઓફિસમાં પણ રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર તપાસમાં હોસ્પિટલમાંથી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્વના ઇલેક્ટ્રોનિક પુરાવા તેમજ દસ્તાવેજો કબજે લીધા છે. જ્યારે આરોપીઓના ઘરે કેટલીક મહત્વની કડી પોલીસને મળી છે જે સંદર્ભે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે તમામ વોન્ટેડ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની અસરકારના આધારે તેઓની સામે લુક આઉટ સર્ક્યુલર નોટિસ જાહેર કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે.