બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલ્લા બ્રેવરમાને બ્રિટનને ચેતવતાં કહ્યું હતું કે, બ્રિટન મુસ્લિમ કટ્ટરવાદીઓના હાથમાં પડી જશે અને આગામી 20 વર્ષમાં તે ઇરાન જેવું પશ્ચિમનું શત્રુ બની રહેશે. તે પરમાણુ શસ્ત્રથી સજ્જ ઇસ્લામિક કટ્ટરવાદી રાષ્ટ્ર બની રહેશે. આ સાથે તેઓએ બ્રિટનની કીમ-સ્ટાર્મર સરકારની ટ્રમ્પ સાથેની વિરોધાભાસી નીતિની પણ ઉગ્ર ટીકા કરી હતી.
વોશિંગ્ટનમાં હેરિટેજ-ફાઉન્ડેશન નામક જમણેરી સંસ્થાએ યોજેલા એક કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાં તેઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારોભાર પ્રશંસા કરી હતી. આ સાથે કહેવાતા પ્રગતિશીલ વિચારકોની ઉપર તૂટી પડતાં તેઓએ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય છેવટે આ કહેવાતા પ્રગતિશીલ વિચારકોને એક તરફ હડસેલી દેશે.
ઉલ્લેખનીય છે કે બ્રેવરમેન બ્રિટનની જમણેરી તેવી ટોરી (રૂઢિચુસ્ત) પાર્ટીમાં પણ સૌથી વધુ જમણેરી જૂથના નેતા છે. તેઓએ તેમનાં વક્તવ્યમાં વધુમાં કહ્યું હતું કે, જો આ પ્રવાહ (વસાહતીઓનો પ્રવાહ) રોકવામાં નહીં આવે તો 20 વર્ષમાં દેશ ઇરાન જેવો મુસ્લિમ કટ્ટરવાદી દેશ બની રહેશે. આ પૂર્વ ગૃહમંત્રી તેઓનાં વિવાદાસ્પદ વિધાનોથી કુખ્યાત બની રહ્યા છે. રાઉન્ડમાંથી આવેલા શરણાર્થીઓને પાછા રાઉન્ડ મોકલવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ શરણાર્થીઓ રહેવાની વ્યવસ્થા ન મળતાં બ્રિટનના શહેરોમાં ફૂટપાથ ઉપર પડયા રહેતા હતા. તે માટે તેઓ ટકોર કરતાં કહ્યું હતું કે, તે પરિસ્થિતિ તો તેઓની જીવન-પસંદગીની પરિસ્થિતિ છે.
એમ પણ કહેવાય છે કે, તેઓના આ પ્રકારના વલણને લીધે જ 2023માં તે સમયના વડાપ્રધાન ઋષિ શુનકે તેઓને મંત્રીપદેથી દૂર કર્યા હતાં. તેઓએ ટ્રમ્પના મેગા- ‘મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન’ સૂત્રની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, આપણે બ્રિટનને ફરી એકવાર ગ્રેટ બ્રિટન બનાવવું રહ્યું. આ સાથે કીમ સ્ટાર્મરની લેબર સરકાર ઉપર તો તેઓ તૂટી પડયા હતા. તેઓએ કહ્યું, કીમ સ્ટાર્મરના નેતૃત્વ નીચે બ્રિટનને (કટ્ટરવાદને) શિક્ષા નહીં કરવાની વેદી પર બલી ચઢાવી દેવાશે અને માનવ અધિકારના વિકૃત ખ્યાલોને લીધે બ્રિટન અને તેના લાંબા સમયના સાથીઓ આવી સુપર-નેશનલ ઇન્સ્ટીટયુટસ ને લીધે તેઓની સુરક્ષા અને આંતરિક સલામતી જોખમાવી દેશે.