રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લાની સિદસર-શામપરા મોડેલ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો અને સ્થાનિક આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બેઠકમાં શાળાના આચાર્ય ડૉ. પ્રકાશભાઈ રાઠોડે શૈક્ષણિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળાની પ્રગતિને બિરદાવતા જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સિદ્ધ કરવા માટે એસએમસી, વાલીઓ અને સ્થાનિક સમાજની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે સતત નવા પ્રયોગો કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.






