બ્રહ્માકુમારીઝ સંસ્થાની સ્થાપનાને નેવું વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત “નવદશકોત્સવ” અંતર્ગત સંસ્થાના પ્રથમ મુખ્ય સંચાલિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી (મમ્મા)ના ૬૧મા સ્મૃતિ દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. તારીખ ૨૫ જૂન ૨૦૨૬, ગુરુવારના રોજ ભાવનગરના સરદારનગર સ્થિત ‘ડિવાઇન પેલેસ’ ખાતે ગહન રાજયોગ તપસ્યા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે.
ત્યાગ, તપસ્યા અને સેવાની સાક્ષાત મૂર્તિ સમાન માતેશ્વરી જગદંબા સરસ્વતીએ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પ્રારંભિક વિકાસમાં અનન્ય અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આજે વિશ્વના ૧૪૫ દેશોમાં લાખો ભાઈ-બહેનો તેમણે દર્શાવેલા દિવ્ય પંથ પર ચાલી રહ્યા છે. ભાવનગર ઉપરાંત આ સ્મૃતિ દિનની ઉજવણી અમરેલી, બોટાદ, મહુવા, સિહોર, પાલીતાણા, સાવરકુંડલા, વલભીપુર, ધારી, બગસરા અને તળાજા કેન્દ્રો પર પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે.






