ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મેઘરાજાએ તબાહી મચાવી છે.
ઉત્તરાખંડના કોટદ્વારમાં ભારે પર્વતીય કાટમાળ ધસી પડવાને કારણે એક મકાન ધરાશાયી થતાં બે વર્ષના બાળક અને એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે કેદારનાથ ટ્રેકિંગ રૂટ પર પથ્થર પડવાથી દિલ્હીની એક મહિલા શ્રદ્ધાળુનું પણ મૃત્યુ થયું છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીનું પાણીનું સ્તર ચેતવણી રેખાને વટાવી ગયું છે.
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ચૂનાના પથ્થરની એક ખાણ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ત્રણ કામદારો ગંભીર રીતે દટાઈ ગયા છે. આ ઉપરાંત, લાહૌલ-સ્પિતિમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની છે, જેનાથી અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નીલકંઠ યાત્રા પર ગયેલા યાત્રાળુઓના વાહનો ફસાઈ ગયા છે. ઉત્તરાખંડમાં પણ સતત વરસાદને કારણે ઘણી નદીઓ તોફાની બની છે.




