કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મુંબઈમાં કહ્યું કે ભાજપ-એનડીએ શાસિત 21 રાજ્યોમાં 2029 પહેલા UCC લાગુ કરી દેવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણી 2029માં યોજાવાની છે. ઉત્તરાખંડમાં જાન્યુઆરી 2025થી UCC સંપૂર્ણપણે લાગુ છે. હાલમાં UCC લાગુ કરનારું આ એકમાત્ર રાજ્ય છે.
ગુજરાત, આસામ અને મધ્યપ્રદેશમાં વિધાનસભામાંથી પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે. રાષ્ટ્રપતિની મંજૂરી અને અધિસૂચના જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢે UCC લાગુ કરવા માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરનારી સમિતિઓ ગઠિત કરી દીધી છે.તેઓ મુંબઈમાં ભાજપના સેવા સંકલ્પ અભિયાનના લોન્ચિંગ માટે પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
2014માં ભાજપ/એનડીએની સરકારો લગભગ 7 રાજ્યોમાં હતી. 2018 સુધીમાં આ સંખ્યા વધીને 21 રાજ્યો સુધી પહોંચી ગઈ. 2019 પછી કેટલાક રાજ્યોમાં સત્તા ગુમાવવાથી સંખ્યા ઘટીને લગભગ 16-17 રહી ગઈ. 2024-2026 દરમિયાન મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં સત્તા વાપસી થઈ. 2026માં ભાજપના નેતૃત્વ હેઠળનું એનડીએ 22 રાજ્યોમાં સરકાર ચલાવી રહ્યું છે. કેરળની મુસ્લિમ સંસ્થા સમસ્ત કેરળ જેમ-ઇયાતુલ ઉલમા પણ UCCનો વિરોધ કરી રહી છે. સંસ્થાના અધ્યક્ષ મોહમ્મદ જિફ્રીનું કહેવું છે કે માત્ર મુસ્લિમ જ નહીં, પરંતુ અન્ય ધર્મો જેવા કે ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન પણ યુનિવર્સલ સિવિલ કોડને સ્વીકારી શકશે નહીં. તેમનું કહેવું છે કે મુસ્લિમોમાં લગ્ન, છૂટાછેડા અને વારસો ધર્મનો જ એક ભાગ છે. તેમના માટે કેટલાક નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું પડે છે.






