અહીં યોજાયેલી બ્રિક્સ શિખર પરિષદ સંપન્ન થઈ છે. વડાપ્રધાન મોદીએ સમાપન સંબોધન કર્યું. પછી ભવ્ય ભોજન સમારંભ યોજાયો. જેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન મુખ્ય મહેમાન સમાન બની રહ્યા હતા. ચીનના માંધાતા શી-જિનપિંગ રાત્રી ભોજનમાં ઉપસ્થિત ન રહ્યા, ભારત મંડપમ્ જ્યાં આ શિખર પરિષદ યોજાઈ હતી ત્યાંથી નીકળી સીધા પોતાની હોટેલ ઉપર જ તેઓ પહોંચી ગયા અને ત્યાંથી સીધા એરપોર્ટ પહોંચી ગયા હતા.
બ્રિક્સ સંમેલન-૨૦૨૬ ના છેલ્લા દિવસે મહેમાન દેશોના પ્રતિનિધિઓ સાથે ફોટો સેશન યોજાયું હતું. મોદીએ તે પૂર્વે તેના સમાપન સંબોધનમાં કહ્યું કે ભારતે તે વાત ઉપર કેન્દ્રિત કર્યું છે કે બ્રિક્સ સહકાર માત્ર સરકારો કેન્દ્રિત ન રહેતા તેનો લાભ જન સામાન્યને પણ મળે. આ પછી રશિયાના પ્રમુખ પુતિન સ્વદેશ જવા રવાના થયા. તેઓ તો ૧૧ મી સપ્ટેમ્બર ભારતની મુલાકાતે હતા. આ સંમેલન અંગે નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થીએ સોશ્યલ મીડીયા સાઈટ ઉપર લખ્યું ઃ ‘આ સંમેલન બહુપક્ષીયવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમાં મુળ મલ્ટીલેટરીઝમ, મજબૂત ક્ષેત્રીય મુદ્દાઓ આધારિત સહયોગ તેમાં સ્પષ્ટ દેખાય છે. બ્રિક્સનું આ નવી દિલ્હી ઘોષણાપત્ર એક પ્રગતિશીલ પગલું છે. તે ગ્લોબલ સાઉથને મજબૂત અવાજ આપે છે. સાથે વધુ નિષ્પક્ષ વિત્તીય વ્યવસ્થા માગે છે. અને પશ્ચિમ એશિયામાં સ્થિર-શાંતિ ઉપર વજન મુકે છે. આંતરિક વિરોધાભાસો અને બાહ્ય ભૂ-રાજકીય પડકારો વચ્ચે પણ આ એક સ્વાગત યોગ્ય ઘટનાક્રમ છે.






