ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, મહાવિકાસ આઘાડી સરકારને પાડવા માટે અઢી વર્ષથી પ્લાનિંગ ચાલી રહ્યું હતું. ચંદ્રકાંત પાટીલે પુણેના તિલક મેમોરિયલ ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે પાટીલના હાથમાં રાજ્યની કમાન હતી. તાજેતરમાં પાટીલના મંત્રી બન્યા પછી ભાજપે ચંદ્રશેખર બાવનકુલેને મહારાષ્ટ્ર રાજ્યની જવાબદારી સોંપી છે.
ચંદ્રકાંત પાટીલે વધુમાં જણાવ્યું કે, હું અઢી વર્ષથી કહી રહ્યો હતો કે અમારી સરકાર આવશે, એવું કહેવા માટે હું પાગલ નહોતો. મને ખબર હતી કે અમારી સરકાર આવશે. હું કાર્યકરોનું મનોબળ વધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ખરેખર અઢી વર્ષથી અમે અમારી સરકાર લાવવાનો પ્લાનિંગ કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કર્યું હતું. બાદમાં જ્યારે સીએમ પદને લઈને વિવાદ વધ્યો ત્યારે ઉદ્ધવ ઠાકરેએ અલગ રસ્તો અપનાવ્યો અને એનસીપી, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના સમર્થનથી મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સરકાર બનાવી લીધી હતી. અઢી વર્ષ પછી એકનાથ શિંદેના સમર્થનમાં શિવસેનાના ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો. જે બાદ શિંદે જૂથે ભાજપ સાથે હાથ મિલાવી લીધો અને રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવી લીધી.