પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતે આવેલી લોક વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની હોસ્ટેલની અગાસીમાં પાણીના ટાંકામાંથી લાશ મળી આવી હતી જે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ આ બનાવને કોળી સમાજ દ્વારા હત્યા કરાય હોવાની શંકા રાખી તપાસ કરી જવાબદારને ઝડપી લઈ યોગ્ય ન્યાય અપાવવા પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી પરંતુ હજુ સુધી વિદ્યાર્થીનીના મોત અંગે ન્યાય મળેલ ન હોય આજે કોળી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ચક્કાજામ કરતાં પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.

તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતી અને પાલીતાણા ખાતે લોક વિદ્યાલય વાળુકડમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં જ રહેતી કૃપાલી નામની વિદ્યાર્થીનીનો બે એક મહિના પહેલા હોસ્ટેલની અગાસીમાં પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે જે તે સમયે ભારે ખળભળાટ જવા પામ્યો હતો.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરેલ પરંતુ પરિવારજનો દ્વારા વિદ્યાર્થીનીની હત્યા કરી લાશ નાખી દેવાયા હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાય માટે પોલીસ સમક્ષ અગાઉ પણ રજૂઆતો કરાઈ હતી આ બનાવને લાંબો સમય વીતી ગયા છતાં વિદ્યાર્થીનીના મોતના મામલે પરિવારને ન્યાય મળ્યો ન હોય આજે કોળી સમાજ દ્વારા શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ધરણા કરવા ઉપરાંત ચક્કાજામ સાથે ભારે સૂત્રોચાર કર્યા હતા.

આ રેલીના સંદર્ભે પોલીસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મસ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માટે ખડકી દેવાયો હતો અને કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેવાયા હતા જ્યારે ચક્કાજામ કરી રહેલા રાજુ સોલંકી, બળદેવ સોલંકી સહિત આગેવાનોની અટકાયત કરી હતી.





