ગુજરાત પર બિપરજોયની અસરથી રાજ્યના ઉદ્યોગો પણ બાકાત નથી. ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગ જગતના લોકોના જણાવ્યા પ્રમાણે ફ્શિરીઝ, સોલ્ટ, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક તેમજ પોર્ટ જેવા ઉદ્યોગોને સૌથી વધુ અસર થઈ છે. ઇન્ડસ્ટ્રીના અનુમાન મુજબ બિપરજોયના કારણે અંદાજે રૂ.4,000-5,000 કરોડના વ્યવહારો અટકી પડશે.
વાવાઝોડાના કારણે ધંધા બંધ કરવા પડયા છે. લગભગ છેલ્લા ત્રણ-ચાર દિવસથી બધુ બંધ જેવી હાલતમાં છે જેના કારણે રોજિંદા વ્યવહારો અટકી પડયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ કરોડોના ટ્રાન્ઝેક્શન બંધ છે. વાવાઝોડું પસાર થઈ જાય પછી જ સાચી નુકસાની ખબર પડશે. હાલની સ્થિતિએ રોજનો જે રૂ. 400-500 કરોડનો બિઝનેસ થતો હતો તે અટકી પડયો છે.
ચોમાસું નજીક આવે એટલે ફિશિંગ ઉદ્યોગમાં કોલ્ડ સ્ટોરેજમાં માલ વધુ રાખવામાં આવે છે. વાવાઝોડાના કારણે પાવર કટ થાય તો આ માલ બગડી જવાનો ભય છે. આ સ્થિતિમાં હોસ્પિટલ્સ, આશ્રાય સ્થાનોને વીજ પુરવઠો આપ્યા બાદ, વેરાવળ વિસ્તારના કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગોનો પાવર પ્રાયોરિટી ધોરણે ચાલુ કરી આપવા અમે સરકારને પણ લખ્યું છે જેથી શક્ય એટલી ઓછી નુકસાની થાય.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે કહ્યું કે, સાઈક્લોનના કારણે કચ્છમાં મેજર પોર્ટ કંડલા અને મુંદ્રા છેલ્લા 3 દિવસથી બંધ છે. કંડલામાં જ રોજના 15-20 દરે અને લિક્વિડ કાર્ગો જહાજ આવતા હોય છે. પોર્ટ્સ બંધ હોવાથી ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ ઠપ્પ છે. આના કારણે પોર્ટ અને તેને સંલગ્ન ઉદ્યોગો પણ બંધ છે. આ વિસ્તારમાં જ દૈનિક રૂ. 200-250 કરોડના વ્યવહારો અટકી પડયા છે. અમારા અંદાજ મુજબ આ સ્થિતિમાં રૂ. 2000 કરોડ આસપાસ નુકસાની થવાની સંભાવના છે.




