મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી. પોલીસે મંગળવારે ઇમ્ફાલ ખીણમાં બે યુવકોની હત્યાનો વિરોધ કરી રહેલી ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો. તેના થોડા કલાકો પછી, મણિપુરની એન બિરેન સિંહ સરકારે ફરીથી આગામી 5 દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
ઇમ્ફાલ ખીણમાં બે યુવકોની હત્યાના વિરોધમાં વિરોધ કરી રહેલી ભીડ પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહીમાં 45થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મણિપુર સરકારે રાજ્યના અધિકારક્ષેત્રમાં મોબાઈલ ઈન્ટરનેટ, ડેટા સેવાઓ, ઈન્ટરનેટ/ડેટા સેવાઓને તાત્કાલિક અસરથી 01 ઓક્ટોબર, 2023ના રોજ સાંજે 7.45 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.
મણિપુરમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે, રાજ્ય સરકારે અન્ય એક સૂચનામાં જાહેરાત કરી છે કે રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બુધવારથી શુક્રવાર સુધી બંધ રહેશે. ગુરુવારે મોહમ્મદ પયગંબરની જન્મજયંતિ ‘ઈદ-એ-મિલાદ ઉન નબી 2023’ નિમિત્તે રાજ્યમાં જાહેર રજા છે. રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે લોકોને સંયમ રાખવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ‘મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. સીબીઆઈ અને પોલીસ સંયુક્ત રીતે આરોપીઓને શોધવા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.




