ભવિષ્યની અસરો અંગે સહેજ પણ વિચાર કર્યા વગર ધો.૧માં પ્રવેશ માટે ગુજરાત સરકારે લાગુ કરેલી વય મર્યાદાના કારણે રાજ્યના ૩ લાખ વિદ્યાર્થીઓને અસર થઇ રહી છે.વડોદરાના ૫૪ વાલીઓએ આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઇ હતી અને આ મામલે ગુજરાત સરકાર, શિક્ષણ સચિવ, ડીઇઓ અને શાળાઓને નોટિસ આપીને અગામી તારીખ ૨૪ એપ્રિલે જવાબ રજૂ કરવા માટે કહ્યું છે.
‘વાલી આગેવાન એડવોકેટ હિતેશ ગુપ્તાએ આ અંગે વધુ પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ‘આખા ભારતમાં કોઇ સ્થળે નહી અને માત્ર ગુજરાતમાં જ જડતાપુર્વક નવા નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આઝાદ ભારતના શિક્ષણ જગતમાં એક ઐતિહાસિક ઘટના બની રહી છે કે ધો.૧માં પ્રવેશ મેળવવા માગતા ૩ લાખથી વધુ બાળકોને આ વર્ષે ડ્રોપ લેવો પડશે અથવા તો જે લોકો ધો.૧માં હાલમાં છે અને ૬ વર્ષની ઉમર પુર્ણ નથી નથી તેમણે રિપીટ કરવુ પડશે.’
‘ગુજરાત સરકારે કોરોનાકાળમાં કે જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે વર્ષ ૨૦૨૦-૨૧માં નોટિફિકેશન બહાર પાડીને ધો.૧માં પ્રવેશ માટે ૬ વર્ષની ઉમર ફરજીયાત બનાવી દીધી એટલે કે નવા શૈક્ષણિક વર્ષમાં ૩૧ માર્ચ સુધીમાં જે બાળકોની ઉમર ૬ વર્ષ પૂર્ણ થઇ હોય તેમને જ ધો.૧માં પ્રવેશ મળશે. આ નોટિફિકેશન બહાર પડયું ત્યારે શાળાઓને પણ જાણ કરવામાં આવી ન હતી અને હવે અચાનક આ વર્ષથી નોટિફિકેશનના અમલ માટે સરકારે શાળાઓ પર દબાણ લાવી દીધુ છે. જેના કારણે ૩ લાખ બાળકોના ભવિષ્યનો સવાલ ઉભો થયો છે.’
જમ્મુ કાશ્મીર અને હરિયાણા સહિત તમામ રાજ્યોએ નિયમમાં સુધારો કર્યો
વાલી અગ્રણીઓનું કહેવું છે કે ‘દેશના અન્ય રાજ્યોમાં પણ ૩૧ માર્ચ સુધીમાં જે બાળકના ૬ વર્ષ પૂર્ણ થયા હોય તે બાળકને જ ધો.૧માં પ્રવેશ આપવો એવો નિયમ અમલમાં મુકાયો હતો પરંતુ ત્યાં વાલીઓએ જે તે સરકારોનું ધ્યાન દોરતા લાખો વિદ્યાર્થીઓના હિતમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણ સહિત તમામ રાજ્ય સરકારોએ નિયમ પાછો ખેંચી લીધો છે અથવા તો સુધારો કર્યો છે જેથી બાળકોનુ ભવિષ્ય બગડે નહી.






