કર્ણાટકમાં સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. વિગતો મુજબ ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કરવામાં આવી છે. ‘પ્રજા ધ્વની’ના નામે બહાર પાડવામાં આવેલા તેના સંકલ્પ પત્રમાં ભાજપે દરેક BPL પરિવારને દરરોજ અડધો કિલો નંદિની દૂધ અને વર્ષમાં 3 વખત મફત સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે.
કર્ણાટકમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, CM બસવરાજ બોમાઈ સહિતનાં નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપે તેના ઢંઢેરામાં 10 લાખ બેઘર લોકોને ઘર આપવાનું વચન પણ આપ્યું છે. આ સાથે સરકારી શાળાઓને વિશ્વ કક્ષાના માપદંડો અનુસાર અપગ્રેડ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સાથે દર વર્ષે વરિષ્ઠો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત લોકોને સસ્તા દરે ભોજન મળશે. ભાજપે કર્ણાટકમાં NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન) લાગુ કરવાનું વચન આપ્યું છે. જે અંતર્ગત ગેરકાયદેસર શરણાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે.
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે
ભાજપે તેના મેનિફેસ્ટોમાં ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કર્યો છે. UCC નો અર્થ છે કે, રાજ્યના દરેક નાગરિક માટે, ધર્મને ધ્યાનમાં લીધા વિના તેના માટે સમાન કાયદો લાગુ થશે. તેના અમલીકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સાથે સામાજિક ન્યાય ભંડોળ યોજના દ્વારા એસસી-એસટી મહિલાઓને 10,000 રૂપિયા સુધીની FDનું પણ વચન આપવામાં આવ્યું છે.






