દેશમાં આવકવેરાનો વ્યાપ તથા કલેકશન વધારવા માટેના પ્રારંભ કરેલા પ્રયાસમાં હવે આવકવેરાની નોટીસનો જવાબ નહી આપવાનું તમારા માટે મુશ્કેલ સાબીત થઈ શકે છે. આવકવેરાની નોટીસનો જવાબ નહી આપવા પર હવે વધુ નોટીસના બદલે સીધી કાર્યવાહી જ કરવામાં આવશે.
આવકવેરા વિભાગ દ્વારા જે કંઈ સ્ત્રોતની માહિતી મળી હોય તેનો ઉપયોગ કરીને કરદાતા કે જે રીટર્ન પણ ફાઈલ કરતા ના હોય તેને એક નોટીસ આપી તેનો જવાબ માંગશે. જે જવાબ આપવો જરૂરી બનશે. નહીતર તેણે કશું છુપાવવા જેવું છે તેવું માનીને તેમાં સીધી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. દિશા નિર્દેશના અનુસાર આવકવેરા અધિકારી આવકમાં ગડબડીના ટેક્ષપેપર્સને તા.30 જૂન સુધીમાં આવકવેરા ધારાની કલમ 143(2) હેઠળ નોટીસ મોકલી શકે છે અને કરદાતાને તેના સંબંધીત દસ્તાવેજો આપવાના રહેશે અને તેમાં કોઈ જવાબ રીટર્ન કે અન્ય ખુલાસા આપવામાં આવશે નહી તો તે કેસ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટરને મોકલવામાં આવશે. જયાંથી જ આગળની કાર્યવાહી થશે.
આવકવેરા ધારાની કલમ 142(1) હેઠળ આઈટી અધિકારીને રીટર્ન દાખલ કરવાની સ્થિતિમાં એક નોટીસ અને સ્પષ્ટીકરણનો અધિકાર આપે છે જેના સંદર્ભમાં રીટર્ન દાખલ થયું ના હોય તેને ચોકકસ રીતે માહિતી આપવાનું પણ જણાવી શકાય છે અને આ પ્રકારના માળખામાં જો નોટીસનો જવાબ આપવામાં આવે નહી તો સીધી કાર્યવાહી જ થશે.





